જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ: મેઘરાજાની રાહ યથાવત્
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો નહોતો, જેના કારણે અષાઢી બીજનો તહેવાર પણ કોરો જ રહ્યો હોય તેવી લાગણી નગરજનોમાં જોવા મળી હતી.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હતું. લાલપુર તાલુકામાં આશરે 8 મી.મી., ધ્રોલમાં 4 મી.મી. અને કાલાવડમાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગર, જોડિયા અને જામજોધપુર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં સારો વરસાદ વરસ્યો ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક માટે જરૂરી ભેજનો અભાવ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ શહેરના નાગરિકો પણ બફારા અને ઉકળાટથી પરેશાન બન્યા છે અને હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેની પર ટકેલી છે.
હવામાન વિભાગના આજના આંકડા મુજબ શહેરનું મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 13.4 કિલોમીટર નોંધાઈ હતી. ઊંચા ભેજના પ્રમાણને કારણે વરસાદી માહોલ સર્જાયો હોવા છતાં નોંધપાત્ર વરસાદ ન પડતાં લોકો હજુ પણ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.









