છોટીકાશીમાં આજથી દશામાના વ્રતનો પ્રારંભ : 21મીએ પૂર્ણાહુતિ ભક્તોમાં ઉત્સાહ, 22મીએ મૂર્તિવિસર્જન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગરમાં દશામાના વ્રતને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે બુધવારે અષાઢ વદ અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે. દસ દિવસ સુધી ચાલનારા આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા-અર્ચના, જાપ, પાઠ સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. વ્રતને લઈને જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળશે.
દશામાને લોકદેવી તરીકે પૂજવામાં આવે છે. અનેક લોકો દશામાને મોમાઈ માતાનું સ્વરૂપ માને છે, જ્યારે કેટલાક ભક્તો તેમને પાર્વતી માતા તથા મહામાયાના સ્વરૂપ સાથે જોડે છે. દશામાના સ્વરૂપ અને નામ અંગે વિવિધ લોકમાન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો દશામાને દશ મહાવિદ્યાના સ્વરૂપ સાથે જોડે છે, જ્યારે અન્ય માન્યતા મુજબ જીવનમાં ચાલી રહેલી ખરાબ દશામાંથી મુક્તિ અપાવનાર દેવી તરીકે તેમનું નામ દશામા પડ્યું હોવાનું માનવામાં આવે છે.
દશામાના વ્રતની તા. 21 ઑગસ્ટે પૂર્ણાહુતિ કરવામાં આવશે. દસ દિવસ દરમિયાન ભક્તો દ્વારા માતાજીની આરાધના સાથે પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે. ત્યારબાદ તા. 22 ઑગસ્ટે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.









