જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાતાં રાહત: ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પરત ફર્યો

જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર
જામનગર શહેર અને જિલ્લામાં આખરે ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, અને ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ત્રણ દિવસ દરમિયાન પરત ફર્યો છે, અને 18.0 ડિગ્રી તાપમાન ને લઈને ઠંડીમાં રાહત અનુભવાઇ છે. જોકે ગઈ કાલે સાંજે પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, ઉપરાંત વહેલી સવારે ભેજના પ્રમાણમાં પણ વધારો થવાથી ઝાકળ વર્ષા થઇ હતી.
જામનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસ પહેલાં ઠંડીનો પારો 10.0 ડિગ્રી આસપાસ રહ્યો હતો. જેમાં ઘટાડો નોંધાયો છે, અને છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો સડસડાટ 8 ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો હોવાથી ઠંડીમાં રાહત અનુભવાઇ છે. જોકે પવન અને ભેજમાં વધારો થયો છે. ગઈકાલે સાંજ થીજ પવન ની તીવ્રતા માં વધારો થયો હોવાથી પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, અને ધ્રુજારી અનુભવાઈ હતી. ઉપરાંત આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ 94 ટકા થઇ જતાં ફરીથી ઝાકળ વર્ષા થઇ હતી, અને માર્ગો ભીંજાયા હતા.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી.ની ઝડપે રહી હતી.




