Gujarat

જામનગરમાં ત્રણ દરવાજા નજીક ખાંડબજાર વિસ્તારના વધુ એક વેપારીની દુકાનમાં ચોરીના પ્રયાસથી વેપારીઓમાં રોષ

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
જામનગરમાં ત્રણ દરવાજા નજીક ખાંડબજાર વિસ્તારના વધુ એક વેપારીની દુકાનમાં ચોરીના પ્રયાસથી વેપારીઓમાં રોષ

જામનગર, તા. 07

જામનગરની ગ્રેઈન માર્કેટમાં ખાંડ બજાર વિસ્તારમાં આવેલી એક અનાજ કરિયાણાના વેપારીની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી હતી, અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તસ્કરોને કશું હાથ લાગ્યું ન હોવાથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. 20 દિવસના સમયગાળા દરમિયાન બીજી વખત ચોરીનો પ્રયાસ થતાં વેપારીઓમાં રોષ પ્રગટ થયો છે.

જામનગરમાં ત્રણ દરવાજા નજીક ગ્રેઈન માર્કેટ પાસે ખાંડ બજારમાં આવેલી જલારામ ટ્રેડિંગ કંપની નામની અનાજ કરિયાણાના વેપારીની દુકાનમાં ગઈ રાત્રે તસ્કરો ત્રાટકયા હતા, અને દુકાનની પાછળના ભાગમાંથી પ્રવેશ મેળવી લઈ લાકડાના દરવાજાને તોડીને તેમાં બાકોરું પાડ્યું હતું. જ્યાંથી તસ્કરો અંદર ઘુસ્યા હતા.


જોકે, દુકાનમાં રોકડ કે પરચુરણ રાખ્યું ન હોવાથી તસ્કરો ખાલી હાથે પાછા ફર્યા હતા.

ગ્રેઈનમાર્કેટ ખાંડ બજાર વિસ્તારમાં જ આજથી વિસ દિવસ પહેલાં એક દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો, અને તસ્કરોએ નળીયા ખેસવી ને અંદર પ્રવેશ મેળવી લઈ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે પણ તસ્કરોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. ખાંડ બજાર વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં જ ચોરીની બે ઘટનાને લઇને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, અને પોલીસ સમક્ષ રાત્રી રાઉન્ડ માટેની રજૂઆત કરાઇ છે.