જામનગરમાં 112ના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો : સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરના સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 112 જનરક્ષકના પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગોવિંદભાઈ અંધેરાની ફરિયાદના આધારે મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરા સામે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો, ગાળાગાળી અને ધમકી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, પોલીસ કોન્સ્ટેબલ નીલેશ અધેરા ગુરુવારે બપોરે 112 જનરક્ષક મોબાઇલમાં ડ્રાઇવર અજયસિંહ અખુભા સોઢા સાથે ફરજ પર હતા. દરમિયાન બુરહાન મોઈસભાઈ મેટ્રનવાલાનો ફોન મળતા તેઓ કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક પાસે પહોંચ્યા હતા. ત્યાં બુરહાને જણાવ્યું હતું કે સોભાન ફારૂકભાઈ મકવાએ વાહન અથડાવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેના મામા મુસ્તુફા મોહમદ વજુગરાએ આવી મારપીટ તથા ધમકી આપી હતી.
પોલીસે બુરહાનને મુસ્તુફાને ફોન કરીને બોલાવવા કહ્યું હતું. ત્યારબાદ મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરા સ્થળ પર આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ મુસ્તુફાને જનરક્ષક વાહનમાં બેસાડવાનો પ્રયાસ કરતાં હાજીભાઈ વચ્ચે પડ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલનું નામ તથા બકલ નંબર પૂછી મોબાઇલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતા. બંનેએ ગાળાગાળી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ દરમિયાન મુસ્તુફાએ ઉશ્કેરાઈ પોલીસ કોન્સ્ટેબલને ઝાપટ મારી "તને જોઈ લઈશ" કહી ધમકી આપી હતી તેમજ હુમલો કરવા માટે આજુબાજુ લાકડી કે અન્ય સાધન શોધવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સીટી એ-ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









