હાલાર તીર્થ આરાધના ધામમાં મોક્ષમાળની આરાધના સંપન્ન થતાં તપસ્વીઓનું જામનગરમાં આગમન

જામનગર તા. 17
જામનગર -ખંભાળિયા ધોરીમાર્ગે આવેલા હાલાર તીર્થ આરાધના ધામમાં ઉપધાનતપની મોક્ષમાળની તપશ્ચર્યા ગત તા. 28 ડિસેમ્બરથી શરૂ થઈ હતી, જેમાં કુલ 168 જેટલા લોકો જોડાયા હતા, તેમાંથી જામનગરના પણ 58 જેટલા લોકોએ પણ તપ કર્યું હતું. જેની પૂર્ણાહુતિ ગત તા. 14.2.22ના રોજ થવા પામી હતી.
તપસ્વીઓએ આ તપશ્ચર્યા પૂજ્ય આચાર્ય શ્રીમદ્ પ્રેમ સૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રામચંદ્ર સુરીસ્વરજી મ.સા., પરમ પૂજ્ય ભદ્રકરવિજયજી મહારાજ ની દિવ્ય કૃપા તથા ગચ્છસ્થવીર આચાર્ય વિજય લલિત સેખરસુરીજી, પુણ્યપાલસુરીશ્વરજી મહારાજ, ધુરંધર વિજયજી, વજ્રસેનવીજયજી મહારાજ, શ્રીમતી વિજય મનમોહન સૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આચાર્ય દેવ વિજય હેમપ્રભાસુરીસ્વરજી મહારાજની નિશ્રામાં આ તપશ્ચર્યા કરવામાં આવી હતી.

આ મુખ્યમ માળ તપશ્ચર્યા જામનગરના કુલ 58 લોકો એ કરી હતી જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જામનગરના ચંદ્રકાંતભાઈ પ્રાણજીવન ભાઈ કોઠારીના પુત્ર અતુલની પુત્રી રિયા ( ઉ.વ. 14) એ પણ આ આરાધના કરેલ છે. જે સતત 45 દિવસ સુધી મહારાજ સાહેબની સાથે જ મહારાજ સાહેબ જેવું જીવન જીવવાનું હોય છે. જેમાં એક દિવસ ઉપવાસ એક દિવસ એકાસણું હોય છે. સવારે ત્રણ વાગ્યે ઊઠીને પ્રતિક્રમણ, ત્યારબાદ દેવ વંદના, આખા દિવસમાં લગભગ 200 જેટલા ખમાસણા ઉપરાંત ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે.

આ તપશ્ચર્યા માં જામનગરના બાળકો બાલિકાઓ જોડાયા હતા. જેની પૂર્ણાહુતિ થતાં આજે 58 તપસ્વીઓ એક સાથે જામનગરમાં ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર ચોકમાં આવ્યા હતા. જ્યાં તેમનું જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ઉપાશ્રયમાં મારાજ સાહેબને વંદન કરી વ્યાખ્યાન અને માંગલિક સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.




