જામનગર નજીક દરેડમાં 16 વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓ જેલ હવાલે થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમસંબંધના મામલે 16 વર્ષના કિશોરની હત્યા નિપજવાના પ્રકરણમાં પકડાયેલા ચારેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે.
દરેડ ગામના બસ સ્ટેશન સામે રહેતા 16 વર્ષીય સાગર રમેશભાઈ ખરા અને પાડોશમાં રહેતા દિનેશ જેઠાભાઈ ગોહીલની પુત્રી વચ્ચેના પ્રેમસંબંધના ચકચારી પ્રકરણમાં પ્રેમિકાના પિતા દિનેશ જેઠાભાઈ ગોહીલ, તેનો ભાઈ જગદીશ જેઠાભાઈ ગોહીલ, દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ તથા અભી અગ્રાવતે મળી ચારેય શખ્સોએ સાગરને ધોકા વડે માર મારી હત્યા નિપજાવી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ પીયુષ રમેશભાઈ ખરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે દિનેશ જેઠાભાઈ ગોહીલ, જગદીશ જેઠાભાઈ ગોહીલ, રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભી અગ્રાવત સહિત ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, જી.પી. એક્ટની કલમ 135(1) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(2)(5) હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી.
જે ચારેય આરોપીઓ પાસેથી પોલીસે હત્યામાં વપરાયેલો ધોકો ઉપરાંત મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા. તેઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં ચારેયને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.




