Gujarat

જામનગર નજીક ખીજડિયા પક્ષી અભ્યારણ પાસે એક ટ્રેક્ટરનું વ્હીલ નીકળી જતાં ગોઝારો અકસ્માત

By GS Team
20 Mar 20222 mins read
This article was originally published on 20 Mar 2022
જામનગર નજીક ખીજડિયા પક્ષી અભ્યારણ પાસે એક ટ્રેક્ટરનું વ્હીલ નીકળી જતાં ગોઝારો અકસ્માત

- ટ્રેક્ટરના ચાલકનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ: અન્ય ત્રણને ઇજા: એકની હાલત ગંભીર

જામનગર, તા.20

જામનગર નજીક ખીજડિયા પક્ષી અભ્યારણ પાસે ગઇકાલે એક ટ્રેક્ટરનું વ્હીલ નીકળી જતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં ટ્રેકટર ના ચાલકનું ટ્રોલીની નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ટ્રેકટરમાં બેઠેલા અન્ય ૩ વ્યક્તિને નાની-મોટી ઇજા થઇ હતી. જે પૈકી એકની હાલત અત્યંત નાજુક છે, અને અમદાવાદ સારવાર માટે ખસેડાયો છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ બિહારનો વતની અને હાલ ખીજડીયા ગામ માં રહેતો અને ટ્રેક્ટર ચલાવતો નંદકિશોર અયોધ્યા યાદવ નામનો 31 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું ટ્રેક્ટર લઈને તેમાં અન્ય 3 વ્યક્તિને બેસાડીને ખીજડીયા પક્ષી અભ્યારણ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રેક્ટરનું એક તરફ નું વ્હીલ નીકળી જતાં ટ્રેક્ટર ખાંગુ થઈ ગયું હતું, અને પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ટ્રેકટર ની ટ્રોલી નીચે દબાઈ જવાથી ટ્રેકટરચાલક નંદકિશોર યાદવનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. આ ઉપરાંત ટ્રેક્ટરની ટ્રોલી માં બેઠેલા ત્રણ યુવાનોને પણ નાની-મોટી ઇજા થઇ હતી.

જેમાં રણજિતરામ ને ગંભીર ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે ગોપી લાલ ભગત અને ધર્મેન્દ્ર રામભજોસિંઘ ને પ્રાથમિક સારવાર અપાઇ છે. આ અકસ્માત ના બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.