લાલપુરમાં સગાઈ બાદ યુવતી પર શંકા રાખી માનસિક ત્રાસ આપનાર 3 સામે હુમલાનો ગુનો નોંધાયો : સમજાવવા ગયેલા પિતા-પુત્રને માર માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુરમાં યુવતી સાથે સગાઈ થયેલા યુવકે તેના પર ખોટી શંકા રાખી અફવાઓ ફેલાવતાં અને માનસિક ત્રાસ આપતાં મામલો ઉગ્ર બન્યો હતો. સમજાવવા ગયેલા યુવતીના ભાઈ અને ત્યારબાદ પહોંચેલા પિતા પર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવતાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે લાલપુર પોલીસે ત્રણ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ લાલપુરના દ્વારકેશ નાંદુરી રોડ વિસ્તારમાં રહેતા ખેડૂત ગોવિંદભાઈ ગગજીભાઈ ભાદરકાની પુત્રીની આશરે 8 મહિના પહેલાં કેવલ ગોગનભાઈ કરંગીયા સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ કેવલ પોતાની મંગેતર અંગે ખોટી શંકા રાખી અફવાઓ ફેલાવતો તેમજ માનસિક ત્રાસ આપતો હોવાનું જણાવાયું છે.
આથી ગોવિંદભાઈનો પુત્ર પાર્થ પોતાના મિત્ર સાહિલ ગોજીયા સાથે કેવલને સમજાવવા તેની દુકાને ગયો હતો. ત્યાં બોલાચાલી થતાં ગોવિંદભાઈ પણ સ્થળે પહોંચ્યા હતા. દરમિયાન કેવલે પોતાના પિતા ગોગનભાઈ અને કાકા પ્રવીણભાઈને બોલાવ્યા હતા. ત્યારબાદ ત્રણેયે મળીને પિતા-પુત્ર સાથે ઝઘડો કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ ગોગનભાઈ અને કેવલે પાર્થના માથામાં લોખંડના પાઈપના ઘા ઝીંક્યા હતા, જ્યારે ગોગનભાઈ અને કેવલે ગોવિંદભાઈના ડાબા પડખા, ડાબા હાથ તથા ડાબા પગમાં પણ પાઈપ વડે માર માર્યો હતો. પ્રવીણભાઈએ ગોવિંદભાઈને પાછળથી પકડી રાખી હુમલામાં મદદગારી કરી હતી. હુમલામાં પાર્થના માથામાં કુલ 12 ટાંકા આવ્યા હોવાનું તથા ગોવિંદભાઈની ડાબી બાજુની પાસળીમાં ફ્રેક્ચર થયું હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું છે. બંનેને પ્રથમ લાલપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે લાલપુર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









