ભારત સહિત આ ત્રણ દેશો કરી શકે છે મધ્યસ્થતા: યુક્રેન સાથે શાંતિ વાર્તા મુદ્દે પુતિનનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: X
Vladimir Putin Big Statement On Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફેબ્રુઆરી 2022માં શરૂ થયું હતું. છેલ્લા અઢી વર્ષથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ખતમ કરાવવા માટે ભારત ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. ભારત ઈચ્છે છે કે, વાતચીત દ્વારા આ યુદ્ધનો અંત આવી જાય. આ માટે ભારતે રશિયા અને યુક્રેન બંને સાથે વાતચીત કરી છે. હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ એ વાત સ્વીકારી છે કે, યુક્રેન યુદ્ધ ભારત રોકી શકે છે. જોકે, પુતિને ભારતની સાથે તેના દુશ્મન દેશ ચીનને પણ ક્રેડિટ આપ્યું છે. પુતિને કહ્યું કે, ભારત, ચીન અને બ્રાઝિલ જ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થતા કરી શકે છે. પુતિને કહ્યું કે, હું યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા માટે તૈયાર છું.
પુતિને કહ્યું કે, ભારત, ચીન અને બ્રાઝિલ યુક્રેન પર સંભવિત શાંતિ વાર્તામાં મધ્યસ્થતાની ભૂમિકા નિભાવી શકે છે. પુતિને કહ્યું કે, યુદ્ધના પ્રથમ અઠવાડિયામાં ઈસ્તંબુલમાં વાટાઘાટમાં રશિયા અને યુક્રેનના વાટાઘાટાકારો વચ્ચે પ્રારંભિક સમજૂતી થઈ હતી, જેને ક્યારેય લાગુ નહોતી કરવામાં આવી. આ સમજૂતી વાટાઘાટો માટેનો આધાર બની શકે છે.
PM મોદીના રશિયા અને યુક્રેન પ્રવાસ બાદ પુતિનનું નિવેદન
પીએમ મોદીના રશિયા અને યુક્રેન પ્રવાસ બાદ પુતિનનું આ નિવેદન આવ્યું છે. PM મોદી લગભગ બે મહિના પહેલા 8 જુલાઈના રોજ રશિયાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે પુતિન સાથે યુદ્ધ રોકવાની ચર્ચા કરી હતી. તેના થોડા સમય બાદ જ પીએમ મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેનની પ્રથમ મુલાકાતે પણ ગયા હતા. અત્યાર સુધી પુતિન ક્યારેય યુક્રેન સાથે વાતચીત અંગે ખુલીને નહોતા બોલ્યા. પરંતુ આ પહેલી વાર છે જ્યારે પુતિને કહ્યું કે, હું યુક્રેન સાથે યુદ્ધ અંગે સમાધાન માટે વાતચીત કરવા માટે તૈયાર છું. પરંતુ આ સાથે જ તેમણે એ પણ સંકેત આપી દીધો છે કે, રશિયાને માત્ર ભારત. ચીન અને બ્રાઝિલની મધ્યસ્થતા જ સ્વીકાર છે.
અગાઉ યુદ્ધ રોકવા માટે પુતિને રાખી હતી આ શરતો
આ અગાઉ ફેબ્રુઆરી 2022માં યુદ્ધની શરૂઆતમાં રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં અનેક રાઉન્ડની વાટાઘાટો યોજાઈ હતી. તેનો હેતુ યુદ્ધને રોકવાનો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધ રોકવા માટે બે શરતો મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, યુક્રેનને ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝપોરિઝિયામાંથી તેના સૈનિકો પાછા બોલાવવા પડશે. આ સિવાય યુક્રેન ક્યારેય NATOમાં નહીં જોડાશે. જો કે, યુક્રેને આ શરતો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.




