US Iran War: અમેરિકા ઈરાન યુદ્ધમાં દલાલ બનેલા પાકિસ્તાનને જોરદાર ઝટકો લાગ્યો છે. ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલા યુદ્ધમાં મધ્યસ્થતાની ડીંગો હાંકનારા પાકિસ્તાનના પ્રસ્તાવને મિત્ર દેશ ઈરાને સ્પષ્ટપણે નકારી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પૂરા જોરશોરથી આ અભિયાનમાં લાગેલા હતા. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈપણ શાંતિ વાટાઘાટોનો હિસ્સો નથી. ઉલ્લેખનીય છે કે, શાહબાઝ શરીફ વહીવટીતંત્રના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા-ઈરાન શાંતિ વાતચીતમાં મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને આ મુદ્દે યજમાની કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
'પાકિસ્તાનનું ફોરમ માત્ર તેમનું, અમે બિલકુલ ભાગીદાર નથી'
ઈરાનના વિદેશ મંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, અમેરિકા સીધી રીતે કોઈ વાતચીત કરી રહ્યું નથી. તે માત્ર મધ્યસ્થીઓ દ્વારા બિનજરૂરી અને મોટી-મોટી માંગણીઓ મૂકી રહ્યું છે. અમેરિકાની ડિપ્લોમેસી સતત બદલાઈ રહી છે, પરંતુ અમે અમારા વલણ પર પૂરી રીતે મક્કમ છીએ. મુંબઈ સ્થિત 'કોન્સ્યુલેટ જનરલ ઑફ ઈરાન'ની આ પોસ્ટમાં લખ્યું છે કે પાકિસ્તાનનું ફોરમ માત્ર તેમનું છે, અમે તેમાં બિલકુલ ભાગીદારી કરી રહ્યા નથી.
પાકિસ્તાનનો શું હતો દાવો?
પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઇસ્લામાબાદે માત્ર અમેરિકાનો 15 મુદ્દાનો પ્રસ્તાવ જ ઈરાનને સોંપ્યો નથી, પરંતુ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે તેહરાનની માંગણીઓ પણ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે રજૂ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, 15 મુદ્દાના પ્રસ્તાવમાં ઈરાનની પરમાણુ અને પ્રાદેશિક નીતિઓને લક્ષ્ય બનાવીને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેના બદલામાં ઈરાનને પ્રતિબંધોમાં મોટી રાહત આપવામાં આવશે. આ પ્રસ્તાવ હેઠળ, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવો પડશે અને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે.


