Get The App

મધ્ય પૂર્વ યુદ્ધનો આવશે કાયમી અંત? ઈરાને વાયા પાકિસ્તાન મારફતે અમેરિકાના પ્રસ્તાવનો જવાબ મોકલ્યો

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય પૂર્વ યુદ્ધનો આવશે કાયમી અંત? ઈરાને વાયા પાકિસ્તાન મારફતે અમેરિકાના પ્રસ્તાવનો જવાબ મોકલ્યો 1 - image

US Iran War: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકાએ ઈરાનને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. હવે આ અંગે ઈરાને પોતાનો જવાબ આપી દીધો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, યુદ્ધ ખતમ કરવા માટેના પ્રસ્તાવનો જવાબ પાકિસ્તાન દ્વારા અમેરિકાને મોકલવામાં આવ્યો છે.

અમેરિકન રાષ્ટ્ર પમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેમને આશા છે કે ઈરાન ટૂંક સમયમાં અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપશે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને ખતમ કરવાનો છે. જો કે તેહરાન તરફથી એવા સંકેત આપવામાં આવ્યા હતા કે તે હજુ પણ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે.  બાદમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને અમેરિકાના પ્રસ્તાવનો જવાબ વાયા પાકિસ્તાન દ્વારા અમેરિકાને મોકલ્યો છે.

અમેરિકા અને ઈરાન બંને ઢીલા પડ્યા

ટ્રમ્પે કહ્યું હતું કે, 'મને આશા છે કે રાત સુધીમાં એક પત્ર મળશે. જોઈએ આગળ શું થાય છે.' તે જ સમયે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાન જાણીજોઈને આ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યું છે, તો તેમણે કહ્યું હતું કે આ વિશે ટૂંક સમયમાં ખબર પડી જશે. અમેરિકા તરફથી પ્રસ્તાવિત સમજૂતી એક પેજનું 14 મુદ્દાનું મેમોરેન્ડમ હોવાનું કહેવાય છે, જેનો ઉદ્દેશ્ય વર્તમાન સંઘર્ષને રોકવાનો અને વોશિંગ્ટન-તેહરાન વચ્ચે ઔપચારિક વાતચીત શરૂ કરવાનો છે. આ પ્રસ્તાવ હેઠળ ઈરાન પરમાણુ સંવર્ધન પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકે છે, જ્યારે અમેરિકા પ્રતિબંધોમાં રાહત આપવા અને ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ કરેલી સંપત્તિઓને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે.

'ક્યારેય દુશ્મન સામે માથું નમાવીશું નહીં': ઈરાન

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, અમે ક્યારેય દુશ્મન સામે માથું નમાવીશું નહીં, અને જો સંવાદ કે વાતચીતની વાત ઉઠે છે, તો તેનો અર્થ આત્મસમર્પણ કે પીછેહઠ નથી પરંતુ, અમારું લક્ષ્ય ઈરાનના અધિકારોને કાયમ રાખવાનું અને રાષ્ટ્રીય હિતોની સંપૂર્ણ મજબૂતી સાથે રક્ષા કરવાનો છે.

શાંતિ વાટાઘાટો પછી પણ યુદ્ધ ચાલુ રહ્યું

જણાવી દઈએ કે ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર સંયુક્ત હુમલા બાદ શરૂ થયેલું આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. જોકે સતત શાંતિની વાતો સામે આવી રહી છે અને થોડા દિવસો માટે સીઝફાયરની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ ધમકીઓનો સિલસિલો હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં યુદ્ધ સંપૂર્ણપણે અટકતું જણાઈ રહ્યું નથી.

આ પણ વાંચો: 'દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં', PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ

આ પહેલા પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટોના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની જાહેરાત પણ કરી હતી, જો કે બાદમાં તેના પર ફરીથી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સંયુક્ત સશસ્ત્ર દળ કમાન્ડના વડા અલી અબ્દોલ્લાહીએ સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સાથે મુલાકાત કરી. મોજતબા ખામેનેઈએ અબ્દોલ્લાહીને સૈન્ય અભિયાનો આગળ વધારવા અને દુશ્મનોનો મજબૂતીથી સામનો કરવા નિર્દેશ આપ્યા છે.