- ઈરાન યુદ્ધ દરમિયાન યુએઈએ પાકિસ્તાન પાસે તેના લેણા 3.5 અબજ ડૉલર માગ્યા તો પાકિસ્તાનના નેતાઓએ યુએઈની મઝાક ઉડાડી
નવીદિલ્હી : પાકિસ્તાને કોની કોની પાસેથી મદદ લીધી છે, અને કેટલી લીધી છે. તે તો કદાચ પાકિસ્તાન પોતે જ ભૂલી ગયું છે. તેવામાં ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યું. ગલ્ફ ઓફ ઈરાન આસપાસના બધા જ દેશો ઉપર ઈરાને હુમલા કર્યા, કારણ કે તે દેશોમાં અમેરિકાનાં લશ્કરી થાણાંઓ છે. આ સંયોગોમાં યુનાઈટેડ આબર અમીરાતને પૈસાની જરૂર પડે જ તે સહજ છે. તેણે પાકિસ્તાન પાસેનાં લેણા ડૉલર ૩.૫ અબજ પાછા માગ્યા છે. પાકિસ્તાનની તિજોરી જ નહીં તેનાં ખિસ્સાં પણ ખાલી છે, તેથી પૈસા પાછા આપવાની વાત તો એક તરફ રહી તેણે યુ.એ.ઈ.ની મઝાક ઊડાડવી શરૂ કરી દીધી છે. છતાં યુએઈ તેણે આપેલી લોન પાછી માગે જ છે. તેથી પાકિસ્તાનના નેતાઓએ યુએઈની મઝાક ઊડાડવા સાથે તેને ચેતવણી પણ આપી છે કે ભારતીયોની તમારા દેશમાં વધી રહેલી વસ્તી જોતાં તેવી શંકા ઊભી થાય છે કે કદાચ યુએઈ અખંડ ભારતનો ભાગ ન બની જાય. યુ.એ.ઈ.એ સાવધાન રહેવું જોઈએ.
પાકિસ્તાન-મુસ્લિમ-લીગ-નવાઝ (પી.એમ.એલ. નવાઝ)ના સેનેટર અને પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી મુશાહિદ હુસૈન સૈયદે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આપણા યુ.એ.ઈ.ના ભાઈઓ અત્યારે મજબૂર અને અસહાય છે. આપણે તેમની પાસેથી કર્જ લીધું છે. તો તેમના સંકટના સમયમાં પાછું આપવું જ પડે. આ યોગ્ય નિર્ણય છે.
જ્યારે સેનેટર મુશાહિદ હુસૈને તેમ કહ્યું કે, મેં યુએઈને ભારતથી સાવધાન રહેવા સલાહ આપી છે. ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે ત્યાં સુધી કહી દીધું કે કદાચ તેવું ન બને કે યુએઈ અખંડ ભારતનો ભાગ બની રહે. તેમનાં આ કથનોની ટીકા પણ થઈ રહી છે. પરંતુ સામે હકીકત તે પણ છે કે યુએઈની ૧ કરોડની વસતીમાં ભારતીયોની સંખ્યા ૪૩ લાખ જેટલી છે.


