Get The App

'ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે યુદ્ધ કર્યું, ઈરાનથી જોખમ નહોતું..', અમેરિકાના ટોચના અધિકારીનું રાજીનામું

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
'ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે યુદ્ધ કર્યું, ઈરાનથી જોખમ નહોતું..', અમેરિકાના ટોચના અધિકારીનું રાજીનામું 1 - image

Iran vs Israel-USA War Udpates: અમેરિકા અને ઈઝરાયલે મધ્ય-પૂર્વમાં ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું છે ત્યારે અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, અમેરિકાને ઈરાનથી કોઈ જોખમ નહોતું. ઈઝરાયલના કહેવાથી ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું છે. પ્રમુખ ટ્રમ્પના સાથીઓનું પણ કહેવું છે કે ટ્રમ્પને આશા નહોતી કે ઈરાન આટલો જોરદાર હુમલો કરશે અને યુદ્ધ લાંબુ ચાલશે.

અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપવાની સાથે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેમનું હૃદય એ માનવા તૈયાર નથી કે ટ્રમ્પ સરકાર ઈરાન યુદ્ધનું સમર્થન કરે. આપણા દેશને ઈરાનથી કોઈ તાત્કાલિક જોખમ નહોતું અને એ સ્પષ્ટ છે કે આપણે આ યુદ્ધની શરૂઆત ઈઝરાયલ તથા તેની શક્તિશાળી અમેરિકન લોબીના દબાણના કારણે કરી છે. ગત જુલાઈમાં 44ની સરખામણીમાં બાવન મતોથી કેન્ટની કાઉન્ટર ટેરરિઝમના વડાપદે નિમણૂક કરવામાં આવી હતી.

તેમના રાજીનામાથી ટ્રમ્પના સમર્થકોમાં આ યુદ્ધ અંગે વ્યાકુળતા વધી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાનો બચાવ કરી રહ્યા છે, પરંતુ જો કેન્ટે તેમના દાવાઓને ફગાવી દીધા હોવાથી ટ્રમ્પ સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. ટ્રમ્પના રાજીનામા અને તેમના દાવાઓ મુદ્દે વ્હાઈટ હાઉસ તરફથી કોઈ ટીપ્પણી કરાઈ નથી.

દરમિયાનમાં ટ્રમ્પના સાથીઓનું માનવું છે કે ઈરાન સામેના યુદ્ધથી અમેરિકા અને ઈઝરાયલની સાથે ખાડી દેશોમાં અમેરિકન હિતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઈરાન સામે યુદ્ધ મુદ્દે હવે ટ્રમ્પના સાથીઓ પસ્તાવો કરી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ ટ્રમ્પના નજીકના સાથીઓનું કહેવું છે કે ટ્રમ્પ સરકારે ઈરાનના શાસનની મજબૂતીનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નહોતું. કેટલાક ટોચના અધિકારીઓ ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા પહેલાં ખચકાઈ રહ્યા હતા અને તેઓ વધુ સમય ઈચ્છતા હતા, પરંતુ ટ્રમ્પે તેમની સલાહની અવગણના કરી હતી. ટ્રમ્પ તાજેતરની સૈન્ય સફળતાઓથી ખૂબ જ ઉત્સાહી હતા. ગયા વર્ષે ઈરાન પરના હુમલા તેમજ વેનેઝુએલામાં મળેલી સફળતાથી ટ્રમ્પે માની લીધું હતું કે, ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનેઈના મોતથી ઈરાની શાસનનું પતન થઈ જશે. તેઓ પોતાની સફળતાના નશામાં હતા.