Get The App

ડોનાલ્ડ ટ્રમ્પને સરમુખત્યાર ગણાવતા આયતુલ્લાહ ખામેનાઈએ કહ્યું - પહલવી જેવા હાલ થશે

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પને સરમુખત્યાર ગણાવતા આયતુલ્લાહ ખામેનાઈએ કહ્યું - પહલવી જેવા હાલ થશે 1 - image


Donald Trump and Iran News : ઈરાનમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને અમેરિકા સાથેના વધતા તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્રમ્પને એક "અહંકારી શાસક" ગણાવ્યા અને ચેતવણી આપી કે તેમનો અંજામ પણ ઈરાનના પૂર્વ તાનાશાહ પહલવી જેવો થશે.

ડોનાલ્ડ ટ્રમ્પને સરમુખત્યાર ગણાવતા આયતુલ્લાહ ખામેનાઈએ કહ્યું - પહલવી જેવા હાલ થશે 2 - image

પહલવી સાથે સરખામણી અને પતનની ભવિષ્યવાણી

ખામેનાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખની સરખામણી એવા શાસકો સાથે કરી છે, જેમને તેમણે અત્યાચાર અને ઘમંડના પ્રતીક ગણાવ્યા છે. તેમણે કહ્યું, "જે અમેરિકન રાષ્ટ્રપતિ સમગ્ર વિશ્વ વિશે ઘમંડથી નિર્ણયો સંભળાવે છે, તેણે જાણી લેવું જોઈએ કે મોહમ્મદ રઝા પહલવી જેવા અત્યાચારી અને અહંકારી શાસકોએ પણ પોતાના ઘમંડની ચરમસીમાએ પહોંચીને જ પોતાનું પતન જોયું હતું. તેનો પણ આ જ અંજામ થશે."

ખામેનાઈની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈરાનમાં વ્યાપક અશાંતિ ફેલાયેલી છે અને અમેરિકા સાથે તણાવ ચરમસીમા પર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની પ્રદર્શનકારીઓના સમર્થનમાં આપવામાં આવેલા નિવેદનો બાદ પરિસ્થિતિ વધુ વણસી છે.

અમેરિકા પર 'પાખંડ'નો આરોપ

તેહરાનમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતા, ખામેનાઈએ વોશિંગ્ટન પર ખુલ્લી પાખંડ નીતિનો આરોપ લગાવ્યો. તેમણે અમેરિકાની વિદેશ નીતિનો ઉલ્લેખ કરતા (સંભવતઃ વેનેઝુએલા તરફ ઈશારો કરતા) કહ્યું, "તમે જોઈ શકો છો કે તેમણે લેટિન અમેરિકાના એક દેશને કેવી રીતે ઘેરી રાખ્યો છે અને ત્યાં શું-શું કરી રહ્યા છે. તેમને જરા પણ શરમ નથી અને તેઓ ખુલ્લેઆમ કહે છે કે આ બધું તેલ માટે છે. તેલ માટે."

પ્રદર્શનકારીઓ પર હુમલો, દેશદ્રોહનો આરોપ

ઈરાનના સર્વોચ્ચ નેતાએ તેહરાન અને અન્ય શહેરોમાં રાતોરાત થયેલી તોડફોડની પણ સખત નિંદા કરી અને તેના માટે પ્રદર્શનકારીઓને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું, "કેટલાક લોકો અમેરિકન રાષ્ટ્રપતિને ખુશ કરવા અને તેમની વાહવાહી મેળવવા માટે પોતાના જ દેશની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો તે (ટ્રમ્પ) એટલો જ કાબેલ છે, તો પહેલા પોતાના દેશને સંભાળે."

ઈરાનની સૈન્ય શક્તિ અને દેશવટો ભોગવી રહેલા રાજકુમારની ભૂમિકા

ખામેનાઈએ ઈરાનની સૈન્ય શક્તિને લઈને પણ પડકારજનક વલણ અપનાવતા કહ્યું કે, "આજે ઈરાની રાષ્ટ્ર ક્રાંતિ પહેલાની તુલનામાં ક્યાંય વધુ સુસજ્જ અને સશસ્ત્ર છે." આ ઉથલપાથલ વચ્ચે, ઈરાનના અંતિમ શાહ મોહમ્મદ રઝા પહલવીના પુત્ર રઝા પહલવી પણ ફરી ચર્ચામાં આવ્યા છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિમાં સત્તા પરથી હટાવાયેલા શાહના પુત્ર રઝા પહલવીએ ઈરાનીઓને રસ્તા પર ઉતરવાની અપીલ કરી છે, અને તાજેતરના પ્રદર્શનોમાં પૂર્વ રાજાશાહીના સમર્થનમાં નારાઓ પણ સંભળાયા છે.