Get The App

ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા 1 - image

- સમુદ્રી પ્રવાસમાં ફેલાયેલી નવી મહામારીથી ડબલ્યુએચઓ ચિંતિત

- અમેરિકાથી સિંગાપોર સુધી અનેક દેશોમાં ક્રૂઝ શિપમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાયું

હગ : દુનિયામાં ફરી એક વખત ખતરનાક અને જીવલેણ વાયરસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે. આર્જેન્ટિનાથી રવાના થયેલા ક્રૂઝ શિપ એમવી હોન્ડિયસ પર રહસ્યમયી હંટા વાયરસથી એક ડચ યુગલ સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ગંભીરરૂપે બિમાર પડયા છે. વધુમાં આ જહાજ પર પ્રવાસ કરતા ૧૨ દેશોના ૨૪થી વધુ લોકો મેડિકલ તપાસ કરાવ્યા વિના જ શિપ છોડીને જતા રહેતા હોબાળો મચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જહાજ પરના પાંચ લોકો સહિત કુલ આઠ લોકો આ બીમારીથી પીડિત હોવાનું જણાયું છે. આ બીમારી કોરોના મહામારી જેવી જોખમી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરાયું છે.

નેધરલેન્ડના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે, આ ક્રુઝ શિપ પર હંટા વાયરસના કારણે ૨૪ એપ્રિલે પહેલા પ્રવાસીનું મોત થયા બાદ લગભગ બે સપ્તાહમાં ૧૨ દેશોના ૨૪થી વધુ લોકો તબીબી તપાસ વિના જ શિપ છોડીને જતા રહ્યા છે. જોકે, ડચ અધિકારીઓ મુજબ આ સંખ્યા ૪૦થી વધુ છે. શિપમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ઘરે પહોંચ્યા પછી હંટા વાયરસ ફેલાયાના સમાચારથી હોબાળો મચી ગયો છે. 

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના મહામારીની જેમ હંટા વાયરસ માણસથી માણસમાં વ્યાપક સ્તરે ફેલાય તેવી સંભાવના ઓછી છે. આમ છતાં વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત અનેક દેશોમાં ક્રૂઝ શિપમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરી દીધું છે. ખૂબ તાવ આવવો, થાક લાગવો, માંસપેશિઓમાં પીડા, માથાનો દુખાવો, ચક્કર આવવા અને બીમારી વધતા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. ડચ અધિકારીએ કહ્યું કે, એક મહિલામાં હંટા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે, જેને એમ્સ્ટરડેમ હોસ્પિટલમાં આઈસોલેટેડ વોર્ડમાં રખાઈ છે. આ મહિલા હંટા વાયરસથીગ્રસ્ત જણાશે તો તે એમવી હોન્ડિયસ જહાજ પર ના હોવા છતાં આ બીમારીની ઝપેટમાં આવનારી પહેલી મહિલા પ્રવાસી બનશે.

નેધરલેન્ડની કંપનીના આર્જેન્ટિનાથી રવાના થયેલા જહાજ પર ૭૦ વર્ષના એક ડચ પ્રવાસીનું સ્વાસ્થ્ય અચાનક કથળ્યું હતું. તેનામાં તાવ આવવો, માથામાં દુખાવો, પેટમાં પીડા અને ઝાડા થવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા, આ ફરિયાદોના પગલે ૧૧ એપ્રિલે જહાજ પર જ તેનું મોત થઈ ગયું હતું. ત્યાર પછી એક ડચ મહિલા અને એક જર્મન નાગરિકના પણ જહાજ પર મોત થઈ ગયા હતા. ક્રુઝ જહાજ પર હાલમાં ૧૪૬ લોકો છે. આ પ્રવાસીઓ ૨૩ અલગ અલગ દેશોમાંથી છે.