- આતંકવાદ ઉપર સીધો પ્રહાર કરવા બંને આતુર
- તેઓ ભારતના ઇન્ટેલિજન્સ ચીફને મળ્યા : તેનો મુખ્ય ઉદ્દેશ્ય સલામતી સંબંધી ભાગીદારી ગાઢ કરવાનો અને જાસૂસી માહિતી આપ-લે કરવાનો છે
નવી દિલ્હી : બાંગ્લાદેશનાં રાજકારણમાં હવે, બહુ મોટું પરિવર્તન થઇ રહ્યું હોય તેમ લાગે છે. બાંગ્લાદેશમાં બીએનપીની તારિક રહેમાનનાં નેતૃત્વ નીચેની સરકારે ભારત સાથે અવિશ્વાસની ખાઈ પૂરવા પોતાના સૌથી વધુ ભરોસા પાત્ર અધિકારી અને જાસૂસી વિભાગના વડાને દિલ્હી મોકલ્યા છે. તેમની આ મુલાકાત તારિક રહેમાન વડાપ્રધાન બન્યા પછી ભારતની સૌથી પહેલી ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
સૂત્રો જણાવે છે કે બાંગ્લાદેશની ટોચની સલામતી એજન્સી ડાયરેક્ટરેટ જનરલ ઑફ ફોર્સીઝ ઇન્ટેલિજન્સ (ડીજીએફઆઈ)ના નવ નિયુક્ત મહા. નિર્દેશક મેજર જનરલ કૈસર રાશિદ ચૌધરીએ માર્ચની ૧થી ૩ તારીખ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, અને ભારતની અંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા રૉના વડા પરાગ જૈન, તથા સૈન્યની જાસૂસી એજન્સીના મહાનિર્દેશક લેફ્ટેનન્ટ જનરલ આર.એસ.રમન સાથે ગહન મંત્રણા કરી હતી.
બાંગ્લાદેશની ભૂમિ ઉપરથી ભારત વિરોધી થયેલી કાર્યવાહી અંગે ભારતે હંમેશાં ચિંતા વ્યક્ત કરી છે. તેથી આ બેઠકનો મુખ્ય ઉદ્દેસ્ય સલામતી ભાગીદારી ગાઢ બનાવવાનો અને જસૂસી માહિતીની આપલે કરવા એક વ્યવસ્થા તંત્ર ગોઠવવાનો હતો. ૨જી માર્ચ એક ડીનર મીટીંગમાં બંને દેશોના અધિકારીઓએ સરહદી સંરક્ષણ મજબૂત કરવા તથા આતંકવાદ ઉપર સીધા પ્રહાર કરવા માટેનો રોડ મેપ તૈયાર કર્યો હતો.


