World

શાંતિ કરાર સંકટમાં મુકાતા ટ્રમ્પ ભડક્યા, નેતન્યાહૂની કરી ફજેતી, સીરિયાને ઈઝરાયલથી શ્રેષ્ઠ ગણાવ્યું

By GS Team
16 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. જી-7 (G-7) સમિટ દરમિયાન તેમણે કહ્યું કે, હિઝબુલ્લાહ સામેની લડાઈમાં સિરિયા વધુ સારી ભૂમિકા ભજવી શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, નેતન્યાહૂની રણનીતિના કારણે ઈરાન સાથેની શાંતિ વાર્તા પાટા પરથી ઉતરી શકતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિ કરાર સંકટમાં મુકાતા ટ્રમ્પ ભડક્યા, નેતન્યાહૂની કરી ફજેતી, સીરિયાને ઈઝરાયલથી શ્રેષ્ઠ ગણાવ્યું

Trump Slams Netanyahu : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. જી-7 (G-7) સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'હિઝબુલ્લાહ સામેની લડાઈમાં સિરિયા વધુ સારી ભૂમિકા ભજવી શકે છે. નેતન્યાહૂની રણનીતિના કારણે ઈરાન સાથેની શાંતિ વાર્તા પાટા પરથી ઉતરી શકતી હતી.'

જી-7 સમિટમાં ટ્રમ્પનું મોટું નિવેદન

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની રણનીતિ સામે આક્રોશ ઠાલવ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલ કરતાં સિરિયા વધુ સારું કામ કરી શકે છે. તેમનું માનવું છે કે, લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીએ ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાર્તાને લગભગ પાટા પરથી ઉતારી દીધી હતી. ટ્રમ્પનું આ નિવેદન જી-7 શિખર સંમેલન દરમિયાન કતારના અમીર સાથેની મુલાકાતમાં સામે આવ્યું છે, જેણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના રાજકારણમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે 'ઈઝરાયલ હિઝબુલ્લાહ સામે અભિયાન તો ચલાવી રહ્યું છે, પરંતુ તેમાં સામાન્ય લોકોના જીવ પણ જઈ રહ્યા છે. ઈઝરાયલ બધાને માર્યા વિના આ કામ નથી કરી શકતું, તેથી સિરિયાએ આ કામ કરવું જોઈએ.' અમેરિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન એટલા માટે પણ ઘણું મહત્વનું માનવામાં આવે છે, કારણ કે સિરિયા લાંબા સમયથી ઈઝરાયલનો કટ્ટર વિરોધી દેશ રહ્યો છે. આવા સંજોગોમાં ટ્રમ્પનું આ પ્રકારનું નિવેદન ઈઝરાયલની રણનીતિ પર તેમની સીધી નારાજગી તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ઈરાન સાથે શાંતિ વાર્તાનો પણ કર્યો ઉલ્લેખ

ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું કે, નેતન્યાહૂ સરકારના આ કડક વલણને કારણે જ ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાર્તા પ્રભાવિત થઈ હતી. તેમના મતે, આ સૈન્ય અભિયાને એ સમગ્ર પ્રક્રિયાને લગભગ નષ્ટ કરી દીધી હતી, જેના દ્વારા આ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે, રવિવારે બેરૂત પર થયેલા હુમલાને લઈને પણ અમેરિકાએ ઈઝરાયલ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમને આ હુમલો બિલકુલ પસંદ આવ્યો ન હતો.

'અમેરિકા વિના ઈઝરાયલનું કોઈ અસ્તિત્વ નથી': ટ્રમ્પ

વાતચીત દરમિયાન ટ્રમ્પે ઈઝરાયલને તેની મર્યાદાઓ યાદ અપાવતા કહ્યું કે, 'અમેરિકાના સમર્થન વિના ઈઝરાયલની સ્થિતિ અત્યંત નબળી થઈ શકતી હતી.અમેરિકા વિના આજે ઈઝરાયલનું કોઈ અસ્તિત્વ જ ન હોત.'


આ દરમિયાન ટ્રમ્પે લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, 'ઈઝરાયલ લાંબા સમયથી હિઝબુલ્લાહ સામે લડાઈ લડી રહ્યું છે, પરંતુ તેમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ મોતને ભેટી રહ્યા છે. કોઈ એક વ્યક્તિને નિશાન બનાવવા માટે દર વખતે આખી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ તોડી પાડવી યોગ્ય નથી, કારણ કે ત્યાં રહેતા તમામ લોકો હિઝબુલ્લાહ સાથે જોડાયેલા હોતા નથી.' ઉલ્લેખનીય છે કે, લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલ પર આટલી કડક ટિપ્પણી કરી હોવા છતાં ટ્રમ્પે, નેતન્યાહૂ સાથેના સંબંધોમાં ખટાશ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા, અને કહ્યું કે, ઈઝરાયલના વડાપ્રધાન સાથે તેમના સબંધો ખૂબ જ સારા છે.

ટ્રમ્પનું આ કડક વલણ એવા સમયે સામે આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકા અને ઈરાને તણાવ ઓછો કરવા માટે શાંતિ કરારના એક ફ્રેમવર્કની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવિત કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોમાં રાહત આપવા જેવા પગલાં સામેલ છે. તેને અંતિમ સ્વરૂપ આપવા માટે શુક્રવારે સ્વિત્ઝર્લેન્ડમાં એક સત્તાવાર સમજૂતી પત્ર (MoU) સાઇન થવાની સંભાવના છે.