ચાંચિયાઓનો ભારતીય જહાજ પર હુમલો, કેપ્ટને તમામ ક્રૂને બચાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એડનની ખાડીમાં બંધક બનાવવાનો પ્રયાસ નિષ્ફળ
- કેપ્ટને તમામને જહાજના સુરક્ષિત રૂમ સિટાડેલમાં બંધ કરી દીધા, ચાંચિયા દરવાજો ના ખોલી શક્યા
- ચાર જહાજ હજુ પણ ચાંચિયાઓના કબજામાં, ત્રણ પર ભારતીય નાવિકો હોવાનો ખુલાસો
નવી દિલ્હી : અદનની ખાડીમાં ચાંચિયાઓએ એક ભારતીય જહાજને ઘેરી લીધુ હતું, જેને પગલે થોડા સમય માટે ક્રૂ, કેપ્ટન સહિતનાનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે જહાજના કેપ્ટને પોતાની સમજદારીથી તમામ લોકોનો જીવ બચાવ્યો સાથે જ જહાજને ચાંચિયાઓના હાથમાં જતું અટકાવ્યું હતું એટલુ જ નહીં ચાંચિયાઓ કેપ્ટન, ક્રૂને બંધક નહોતા બનાવી શક્યા.
૧જુલાઇના રોજ અદનની ખાડીમાં ભારત આવી રહેલા એક જહાજ (બલ્ક કેરિયર) પર સમુદ્રી લુંટારા ચાંચિયાઓએ હુમલાનો પ્રયાસ કર્યો હતો, આ ખતરાને જોઇને કેપ્ટને જહાજના તમામ ક્રૂ સભ્યોને તુરંત જ જહાજમાં જ આવેલા એક સુરક્ષિત રૂમમાં બંધ કરી લીધા હતા. સાથે જ ભારતીય નેવીને આ હુમલાની જાણ કરી દેવામાં આવી હતી.
ભારતીય નેવી જહાજ સુધી પહોંચે ત્યાં સુધી કેપ્ટને પોતાને અને જહાજના ક્રૂને આ રૂમમાં જ સુરક્ષિત બંધ રાખ્યા હતા. આ વિશેષ રૂમને સિટાડેલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં પાણી, ભોજન સહિતની વ્યવસ્થા હોય છે. આ રૂમને ખાસ કેપ્ટન અને ક્રૂની સુરક્ષા માટે જ તૈયાર કરવામાં આવ્યો હોય છે. ચાંચિયાઓ જહાજ સુધી પહોંચી ગયા હતા અને આ સુરક્ષિત રૂમને તોડવા પ્રયાસ કર્યો હતો જોકે સફળ નહોતા રહ્યા જેને પગલે અંતે જહાજ છોડીને ભાગી ગયા હતા.
આ ઘટના અંગે આ સપ્તાહે જ નેશનલ પોર્ટ સિક્યુરિટી કોન્ફરંસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં એ પણ ખુલાસો કરાયો છે કે હાલમાં સોમાલીયાના ચાંચિયાઓના કબજામાં ચાર જહાજો છે જેમાંથી ત્રણ જહાજો પર ભારતીય ક્રૂ છે. આ ત્રણમાંથી એક જહાજ પર એક ભારતીય નાવિક છે, જ્યારે બાકીના બે જહાજો પર પાંચ અને ૧૧ ક્રૂ સભ્યો છે. તેમને છોડાવવા પ્રયાસ થઇ રહ્યો છે.









