પાકિસ્તાનમાં હવે લોકો સામે 'રોટલા' નું સંકટ, ઘઉં સપ્લાય ઠપ, 45 ફ્લોર મિલ બંધ થવાની અણીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Wheat Supply Crisis : ભયંકર આર્થિક તંગી અને મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે વધુ એક મોટું સંકટ આવી પડ્યું છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ અને રાવલપિંડી સહિતના અનેક પ્રમુખ શહેરો પર લોટ (આટા) ની ગંભીર અછતનું જોખમ મંડરાઈ રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાદ્ય વિભાગ દ્વારા કોઈ પણ સત્તાવાર લેખિત આદેશ વિના અચાનક જ ઘઉંના સપ્લાય અને ટ્રાન્સપોર્ટ પરમિટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ઈસ્લામાબાદની આશરે 45 જેટલી લોટ મિલો સંપૂર્ણપણે બંધ થવાના આરે પહોંચી ગઈ છે, કારણ કે આ મિલોમાં ઘઉંનો સ્ટોક હવે સાવ ખાલી થઈ ગયો છે.
8,000 ટન ઘઉંનો સપ્લાય ઠપ થતાં કાળાબજારીનો ભય
પાકિસ્તાની અખબાર ‘ડોન’ ના અહેવાલ મુજબ, પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશનની રાવલપિંડી શાખાએ ચેતવણી આપી છે કે જો ઘઉંનો સપ્લાય તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં નહીં આવે, તો ઈસ્લામાબાદ, રાવલપિંડી, મરી અને કોટલી સત્તિયાનમાં લોટની ભારે કટોકટી સર્જાશે. આ અછતને કારણે બજારમાં લોટની સંગ્રહખોરી, કાળાબજારી અને કિંમતોમાં અસહ્ય ઉછાળો આવવાની પૂરેપૂરી આશંકા છે. પંજાબ ફૂડ ડિપાર્ટમેન્ટે 13 જુલાઈના રોજ કોઈ પણ નોટિફિકેશન બહાર પાડ્યા વિના માત્ર મૌખિક રીતે જ પરમિટ સસ્પેન્ડ કરવાનો ‘તુઘલકી ફરમાન’ સંભળાવી દીધો હતો. આ નિર્ણયથી દરરોજ આવતો 8,000 ટન ઘઉંનો નિયમિત સપ્લાય સંપૂર્ણપણે અટકી ગયો છે.
રાવલપિંડીની મિલો પણ ઉત્પાદન બંધ કરશે
ઈસ્લામાબાદના ઔદ્યોગિક વિસ્તારો (1-9 અને 1-10) માં આવેલી આ લોટ મિલો આ જોડિયા શહેરોની ખાદ્ય સુરક્ષા માટે કરોડરજ્જુ સમાન છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જો ઈસ્લામાબાદ માટે ઘઉંનો સપ્લાય વહેલી તકે વહાલ કરવામાં નહીં આવે, તો રાવલપિંડીની મિલો પણ પોતાનું ઉત્પાદન ઠપ કરી દેશે. આનાથી ઊભી થનારી અરાજકતા અને ખાદ્ય સંકટની તમામ જવાબદારી પંજાબના ફૂડ ડિપાર્ટમેન્ટની રહેશે. પીએફએમએ (પંજાબ) ના પ્રમુખ રિયાઝુલ્લાહ ખાને આક્ષેપ કર્યો છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ-અલગ બહાના હેઠળ વારંવાર સપ્લાય રોકવામાં આવી રહ્યો છે, જેના કારણે મિલ સંચાલકો ભારે આર્થિક નુકસાન વેઠી રહ્યા છે.
મુખ્યમંત્રી મરિયમ નવાઝના હસ્તક્ષેપની માંગ
આ ગંભીર પરિસ્થિતિને જોતાં લોટ મિલ એસોસિએશને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે ઘઉંના પરમિટ તાત્કાલિક બહાલ કરવામાં આવે અને ઓનલાઈન પરમિટ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવે. સંગઠનનું કહેવું છે કે ઓનલાઈન સિસ્ટમથી પારદર્શિતા વધશે અને વહીવટી તંત્રની આવી મનમાની અટકશે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે, તો પાકિસ્તાનની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય જનતાને રોટલીના પણ ફાંફા પડી શકે છે.









