Get The App

પાકિસ્તાનમાં બેક-ટુ-બેક આતંકી હુમલા: રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી વાહનોના ફુરચા ઉડ્યા, 7ના મોત

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં બેક-ટુ-બેક આતંકી હુમલા: રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી વાહનોના ફુરચા ઉડ્યા, 7ના મોત 1 - image

Pakistan Terror Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા(KP) પ્રાંતના બન્નુ જિલ્લામાં આતંકવાદીઓએ એક પછી એક બે રિમોટ-કંટ્રોલ બ્લાસ્ટ કરીને ભયાનક આતંકી હુમલાને અંજામ આપ્યો છે. આ બેક-ટુ-બેક વિસ્ફોટોમાં વાહનોના ફુરચા ઉડી ગયા હતા, જેમાં 7 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે આ હુમલાને 'કાયરતાપૂર્ણ આતંકી કૃત્ય' ગણાવ્યું છે.

રિમોટ કંટ્રોલથી ખાનગી વાહનોને નિશાન બનાવાયા

બન્નુના વજીર સબ-ડિવિઝન હેઠળ આવતા અર્ધ-જનજાતીય અને પહાડી વિસ્તાર 'મરકા બેરા'ના ફાંગ મૂસા ખેલ નામના ગામમાં આ હૃદયદ્રાવક ઘટના ઘટી છે. બન્નુના ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર(DPO) યાસિર અફરીદીએ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, પ્રથમ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ડેટસન કંપનીનું એક ખાનગી વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ જોરદાર વિસ્ફોટમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું અને 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

હૉસ્પિટલ જતાં વાહન પર બીજો વિસ્ફોટ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ બ્લાસ્ટના ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટર દૂર આતંકીઓએ બીજો રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ કર્યો હતો. આ બીજા વિસ્ફોટમાં અન્ય એક વાહનના ફુરચા ઉડી ગયા હતા અને વધુ 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 'રેસ્ક્યુ 1122'ની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ મૃતદેહો તથા ઘાયલોને ડોમેલ રૂરલ હેલ્થ સેન્ટર અને ખલીફા ગુલ નવાઝ ટીચિંગ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આઇઈડી (IED) સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.

બન્નુમાં સતત વધી રહેલી આતંકી હિંસા

બન્નુના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી ગતિવિધિઓ ખૂબ વધી ગઈ છે.  એક સપ્તાહ પહેલા જ આતંકીઓએ મિર્યાન રોડ પર આવેલા 'તેરી રામ બ્રિજ'ને વિસ્ફોટકોથી ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. 12 જૂનના રોજ બન્નુમાં જ ટાર્ગેટ કિલિંગની બે અલગ-અલગ ઘટનાઓમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ગયા મહિને સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 25 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બે પોલીસકર્મી અને બે નાગરિકોના પણ મોત થયા હતા.