Pakistani Defense Minister Khawaja Asif On Baluchistan Violence : બલૂચિસ્તાનમાં ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. બલૂચ બળવાખોરોએ પ્રાંતના અનેક શહેરો પર કબજો કરવાની સાથે પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી છે. હિંસામાં 80 સુરક્ષા કર્મચારીઓ, 31 નાગરિકો અને 177 બળવાખોરોના મોત થયા હોવાનો દાવો કરાયો છે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ હિંસા મામલે પોતાની જ સેનાની ફજેતી કરી છે. આસિફના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, બલૂચિસ્તાન બળાખોરો સામે પાકિસ્તાની સેના હારી ગઈ છે.
પાકિસ્તાની સેના બળવાખોરો સામે અસહાય : સંરક્ષણ મંત્રી
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતી વખતે પાકિસ્તાની સેનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલું જ નહીં તેમણે બલૂચિસ્તાન મામલે ભારત પર પણ નિશાન સાધ્યું છે. આસિફે સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાની સુરક્ષા દળ બળવાખોરો સામે અસહાય અનુભવી રહી છે.
હુમલામાં 80 સુરક્ષા કર્મચારીઓના મોત
ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં ઘણા સમયથી હિંસાઓ ચાલી રહી છે. ગત સપ્તાહે બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ‘ઓપરેશન હેરોફ 2.0’ની શરુઆત કરીને પ્રાંતના ક્કેટા, ગ્વાદર, મસ્તુંગ અને નુશ્કી સહિત અનેક જિલ્લાઓ પર ભયાનક હુમલા કર્યા છે. હુમલામાં 80 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાના અને 30થી વધુ સરકારી સંપત્તિઓ નષ્ટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વળતી કાર્યવાહીમાં 177 બળવાખોરોના મોત
સત્તાવાર આંડા મુજબ હિંસામાં 31 નાગરિકો અને 17 સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. જ્યારે પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરીને પ્રાંતભરમાં 177 બળવાખોરોને મારી નાખ્યા હોવાનો દાવો કરાયો છે.
સંરક્ષણ મંત્રીએ પાક. સેનાની પોલ ખોલી
સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની સેના અનેક પડકારોનો સામનો કરી રહી હોવાની પણ પોલ ખોલી છે. તેમણે કહ્યું કે, ભૌગોલિક રીતે બલૂચિસ્તાનો 40 ટકા ભાગ પાકિસ્તાનનો છે. તેથી આટલી મોટી જમીન પર સુરક્ષા કરવી અને પેટ્રોલિંગ કરવું તે પાકિસ્તાની સેના માટે મોટો પડકાર છે. ગીચ વસ્તીવાળા શહેરની તુલનાએ આટલા મોટા અને ઓછી વસ્તીવાળા પ્રાંતને નિયંત્રણમાં લેવા માટે ભારે સૈન્ય તહેનાત કરવાની જરૂર છે.
આ પણ વાંચો : ટ્રમ્પની એક જાહેરાતથી મોટા સંકટમાં ફસાયું પાકિસ્તાન! ભારતે ડીલ કરી 'ખેલ' પાડી દીધો
સંરક્ષણ મંત્રીએ BLA સાથે વાતચીત કરવાનો ઇન્કાર કર્યો
આસિફે એમ પણ કહ્યું છે કે, ‘બલૂચિસ્તાન બળવાખોરોનું જૂથ બીએલએ આતંકવાદી જૂથ છે. અમે તેમની સાથે કોઈપણ વાતચીત કરવા માટે તૈયાર નથી. આ આતંકી જૂથ સાથે સ્થાનિક લોકો, આદિવાસી વૃદ્ધો અને ગુનેગારો મળેલા છે. બીએલએ તેલની તસ્કરી કરતાં લોકોને પણ મદદ કરે છે, જેના કારણે તસ્કરો દૈનિક લગભગ ચાર અબજ પાકિસ્તાની રૂપિયાની કમાણી કરતા હતા.’
આસિફે ભારત પર સાધ્યું નિશાન
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી દર વખતની જેમ ફરી ભારત પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે, ‘ભારત બલૂચિસ્તાનના બળવાખોરોને સમર્થન આપી રહ્યું છે. તેનું નેતૃત્વ અફઘાનિસ્તાનની ધરતી પરથી સંચાલન થઈ રહ્યું છે.’ જોકે આસિફે આ મામલે કોઈપણ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નથી.


