Get The App

અફઘાનિસ્તાનના આતંકી ઠેકાણા પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, 20 મોત, તાલિબાને કહ્યું- બદલો લઈશું

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનના આતંકી ઠેકાણા પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, 20 મોત, તાલિબાને કહ્યું- બદલો લઈશું 1 - image


AI Image 


Pakistan Air Strike news : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે ગંભીર તણાવ પેદા થયો છે. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળોએ એર સ્ટ્રાઈક કરી છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનનો આતંકી ઠેકાણા પર હુમલાનો દાવો

પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે રવિવારે સવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, પાકિસ્તાની સેનાએ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સના આધારે 'તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) અને ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા સાત આતંકી કેમ્પ પર હુમલો કર્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલાઓ માટે જવાબદાર આતંકીઓ અફઘાનિસ્તાનની ધરતી પરથી ઓપરેટ થઈ રહ્યા હતા. ખાસ કરીને બે અઠવાડિયા પહેલા ઈસ્લામાબાદની શિયા મસ્જિદમાં થયેલા ભયાનક બ્લાસ્ટના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

અફઘાનિસ્તાને કહ્યું પાકિસ્તાને 19 નિર્દોષોના જીવ લીધા 

બીજી તરફ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના દાવાને નકારતા કહ્યું છે કે પાકિસ્તાની જેટ વિમાનોએ રહેણાંક વિસ્તારો અને ધાર્મિક મદરેસાઓને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના પક્તિકા અને નંગરહાર પ્રાંતમાં થયેલી આ એર સ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 19 નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે નંગરહારના બેહસુદ જિલ્લામાં એક મકાન પર થયેલા હુમલામાં એક જ પરિવારના 19 સભ્યોના મોત થયા છે, જેમાં 80 વર્ષના વૃદ્ધથી લઈને એક વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

તાલિબાન લેશે બદલો? 

અફઘાન અધિકારીઓએ આ હુમલાની આકરી નિંદા કરી છે અને જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન છે. તાલિબાન સરકારે ચેતવણી આપી છે કે આ હુમલાનો ખૂબ જ જલ્દી બદલો લેવામાં આવશે. હાલમાં પ્રભાવિત વિસ્તારોમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે સરહદી વિવાદ અને આતંકવાદ મુદ્દે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે, જે આ તાજી એર સ્ટ્રાઈક બાદ વધુ વકરવાની આશંકા છે.