World

ઓલીએ ફરી વિવાદ સર્જ્યો, કહ્યું નેપાળમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુક્યું છે

By GS Team
30 Jan 20212 mins read
This article was originally published on 30 Jan 2021
ઓલીએ ફરી વિવાદ સર્જ્યો, કહ્યું નેપાળમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુક્યું છે

કાઠમંડુ, 30 જાન્યુઆરી 2021 શનિવાર

નેપાળનાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ફરી એક વખત ભગવાન રામનાં જન્મ સ્થળ અંગે વિવાદ સર્જવાનો પ્રયાસ કર્યો છે, તેમણે ચિતવનમાં નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટનાં એક જુથને સંબોધિત કરતા કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય થઇ ચુક્યું છે, તેમનો ઇશારો બીરગંજની નજીક એક જગ્યા છે જેને તેઓ પહેલા પણ અસલી અયોધ્યા કહીં ચુક્યા છે, જો  કે ત્યારે તેમના આ નિવેદન સામે ભારતમાં જ નહીં પણ નેપાળનાં નેતાઓ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે અયોધ્યાપુરીમાં રામ મંદિરનાં નિર્માણ કાર્ય માટે એક માસ્ટર પ્લાન બનાવવામાં આવી રહ્યો છે, ભગવાન રામની મુર્તિનું નિર્માણ કાર્ય પહેલાથી જ પુરૂ થઇ ચુક્યું છે, અને સીતા માતાની મુર્તિનું કાર્ય હાલ નિર્માણાધીન છે, તેમણે  તે પણ જણાવ્યું કે લક્ષ્મણ અને હનુમાનની મુર્તિઓ પણ બનાવવામાં આવશે, આગામી રામ નવમીનાં દિવસે રામનાં જન્મસ્થળ અયોધ્યાપુરીમાં ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. 

તેમણે આશા વ્યક્ત કરી કે આ રામ મંદિર બાદ ચિતવન વિસ્તારને પણ એક શાનદાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશેઅને દુનિયાભરમાંથી હિંદુઓ, પુરાતત્વવિદો, માનવ સભ્યતા અને સંસ્કૃતિનાં નિષ્ણાતો માટે ચિતવન આકર્ષણનું કેન્દ્ર બની જશે, ચિતવન અને અયોધ્યા પુરી ધાર્મિક પર્યટન સ્થળ માટે તીર્થસ્થાન બનાવીને દેશની સમૃધ્ધીમાં તેઓ એક મોટું યોગદાન આપશે.

નેપાળમાં હાલ રાજકિય અરાજક્તા છે, અને સંસદ ભંગ  કરીને દેશમાં નવેસરથી ચુંટણીઓ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, ઓલીની પાર્ટી નેપાલ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં બે ભાગલા થઇ ગયા છે, હવે ફરીથી સત્તા પ્રાપ્ત કરવા માટે ઓલી આ પ્રકારનાં ઉટપટાંગ નિવેદનો આપીને લોકોની ભાવના જીતવા માંગે છે.