નાઈજિરિયામાં નરસંહાર : હથિયારધારીઓએ 50 લોકોની હત્યા કરી, મહિલા-બાળકોના અપહરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (Representative Image from Ians) |
Nigeria Attack: નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે(Tungan Dutse) ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા અનુસાર, આ હુમલો ગુરુવાર સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને શુક્રવાર વહેલી સવારના 3:30 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. હુમલાખોરોએ ગામમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી. જીવ બચાવવા ભાગી રહેલા રહેવાસીઓ પર પણ હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી.
150 મોટરસાઇકલ સવાર હુમલાખોરોનો આતંક
આ આક્રમણ પહેલા ગ્રામજનોએ આશરે 150થી વધુ મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોને જોયા હતા અને તે અંગે સુરક્ષા દળો તેમજ સ્થાનિક સત્તાધીશોને જાણ કરી હતી. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે તેમની આ ગંભીર ચેતવણીને અવગણવામાં આવી હતી, જેના કારણે આટલી મોટી જાનહાનિ થઈ છે. આ હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે, જેમની ચોક્કસ સંખ્યા જાણવા માટે સ્થાનિક પ્રશાસન હાલમાં તપાસ કરી રહ્યું છે.
નાઈજીરિયામાં વધતો બંદૂકધારીઓનો આતંક
ગામના એક નિવાસી અબ્દુલ્લાહી સાનીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, આ હુમલામાં તેણે પોતાના પરિવારના ત્રણ સભ્યો ગુમાવ્યા છે અને આખું ગામ હાલમાં શોક અને ભયમાં છે. નાઈજીરિયામાં 'બંદૂકધારી ડાકુઓ' દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હુમલાઓ સતત વધી રહ્યા છે. ખંડણી માટે અપહરણ અને હત્યાની વધતી ઘટનાઓને રોકવા માટે સરકાર પર ભારે દબાણ છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ઉત્તર નાઈજીરિયામાં સુરક્ષા વ્યવસ્થા એક મોટો પડકાર બની રહી છે.









