Get The App

ધનિકોને 'ગિફ્ટ' અને ગરીબોને 'દંડ'... નેપાળની બાલેન શાહ સરકાર કેમ વિવાદોના વમળમાં ફસાઇ

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ધનિકોને 'ગિફ્ટ' અને ગરીબોને 'દંડ'... નેપાળની બાલેન શાહ સરકાર કેમ વિવાદોના વમળમાં ફસાઇ 1 - image

Nepal New Custom Duty: નેપાળ સરકાર દ્વારા ભારત-નેપાળ સરહદ પર લેવાયેલા એક નિર્ણયે મોટો વિવાદ છેડ્યો છે. સરકારના નવા નિયમ મુજબ, હવે સરહદ પારથી લાવવામાં આવતા 100 નેપાળી રૂપિયાથી વધુની કિંમતના સામાન પર કસ્ટમ ડ્યૂટી (સીમા શુલ્ક) વસૂલવામાં આવશે. આ નિર્ણયને કારણે સરહદી વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રોટી-બેટીના સંબંધો પર જોખમ

ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂનો રોટી-બેટીનો સંબંધ છે. સરહદની બંને બાજુએ રહેતા લોકોના લગ્ન સંબંધો અને સામાજિક વ્યવહારો જોડાયેલા છે. સામાન્ય રીતે લોકો પોતાની દીકરીઓને આણામાં કે ભેટમાં ચીજવસ્તુઓ આપતા હોય છે. હવે માત્ર 100 રૂપિયાથી વધુના સામાન પર ટેક્સ લાગતા, સામાન્ય ભેટ-સોગાદો લાવતી વખતે પણ લોકોએ સરહદ પર હાલાકી ભોગવવી પડશે. સ્થાનિકોનું કહેવું છે કે, આ નિયમ સામાજિક અને ભાવનાત્મક સંબંધો પર સીધો પ્રહાર છે.

આ પણ વાંચો: સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત

અમીરોને છૂટ, ગરીબો પર લૂંટ?

નેપાળના સામાન્ય નાગરિકોમાં સૌથી વધુ નારાજગી એ વાતની છે કે નિયમો બધા માટે સમાન નથી. લોકોનો આરોપ છે કે, વિદેશથી વિમાન દ્વારા આવતા લોકોને મોંઘા ગેજેટ્સ, સોનું અને દારૂ જેવી ચીજો પર કાયદેસરની મોટી છૂટ મળે છે. જ્યારે જમીન માર્ગે ચાલતા આવતા ગરીબ મજૂર કે ખેડૂત જો 2 કિલો ખાંડ કે ઘરનું રાશન લાવે, તો તેમની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, શું સરકાર માત્ર ગરીબોના ઝોલા ચેક કરીને જ મહેસૂલ વધારવા માંગે છે?

અર્થતંત્ર અને મોંઘવારીનો માર

નેપાળ સરકારનો તર્ક છે કે, દેશનું અંદાજે 37% અર્થતંત્ર બિન-નોંધાયેલું છે અને તેને ટેક્સના દાયરામાં લાવવું જરૂરી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી નેપાળમાં ઉત્પાદન ખર્ચ ઘટશે નહીં, ત્યાં સુધી લોકો સસ્તા રેશન માટે ભારત પર નિર્ભર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા પરની આ કડકાઈથી સામાન્ય ગરીબની રસોઈ મોંઘી થશે. સ્થાનિક બજારોમાં વસ્તુઓના ભાવ વધશે. મોટા પાયે થતી દાણચોરી અટકવાને બદલે સામાન્ય જનતાની પરેશાની વધશે.

બાલેન સરકાર માટે પડકાર

કાઠમંડુના મેયર બાલેન શાહની લોકપ્રિયતા વચ્ચે આ પ્રકારના કડક નિયમો સરકાર માટે ગળે ફાંસો બની શકે છે. સરહદ પર રહેતા લોકો પોતાની બચત કરવા માટે ભારતીય બજારો પર નિર્ભર છે, કારણ કે ભારતમાં ખાદ્યપદાર્થો પર GST ના દર ઓછા હોવાથી ચીજવસ્તુઓ સસ્તી મળે છે. હવે આ બચત પર ટેક્સનો ડંડો ચાલતા અસંતોષની લાગણી પ્રબળ બની છે.