AI Image |
Pakistan Karanchi Blast News : પાકિસ્તાનના કરાંચીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગુરુવારે એક એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થતાં ઈમારતનો એક હિસ્સો જ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જોકે 14 થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
સ્થાનિક પોલીસના વડાએ આપી માહિતી
સ્થાનિક પોલીસના વડા રિઝવાન પટેલે આ મામલે જણાવ્યું કે વિસ્ફોટની ઘટના રાજધાની કરાચીના એક રહણાંક વિસ્તારમાં બની હતી. હજુ પણ કાટમાળમાં કોઈ ફસાયેલો છે કે તે જાણવા માટે બચાવકર્મીઓ કાટમાળ હટાવી રહ્યા છે. પહેલા કુલ 13 લોકોના મોત થયાની પુષ્ટી થઇ હતી પણ રેસ્ક્યૂ દરમિયાન વધુ 3 મૃતદેહો મળતાં કુલ મૃત્યુઆંક 16ને સ્પર્શી ગયો હતો.
રમઝાનના પહેલા રોઝે બની દુઃખદ ઘટના
પોલીસ અધિકારી જમશેદ અશરફે જણાવ્યું કે આ વિસ્ફોટ સવારે આશરે 4:30 વાગ્યે ઓલ્ડ સોલ્જર બજાર વિસ્તારમાં આવેલી એક ઈમારતના પહેલા માળે થયો હતો. આ એ જ સમય હતો જ્યારે લોકો રમઝાન મહિનાના પહેલા રોઝા માટે જાગીને સહેરી કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે ગેસ લીકેજના કારણે જ બ્લાસ્ટ થયો હતો. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પછી જ વધુ જાણકારી શેર કરવામાં આવશે.
મૃતકોમાં સૌથી વધુ બાળકો
ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારી હુમાયુ ખાને જણાવ્યું કે મૃતકોમાં ઓછામાં ઓછા 9 બાળકો સામેલ છે જેમની વય 2 થી 17 વર્ષની હોવાની જાણકારી છે. જોકે ઘાયલોમાં પણ સાત બાળકો જ છે. તેમણે કહ્યું કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે એક જર્જરિત ઈમારતનો આખો સ્લેબ ધસી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં ગેસની અછતને કારણે નીચલી આવકવાળા વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરે છે.


