Marivex Oil Tanker Fire: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ અને હુમલાઓ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોમવારે બપોરે આશરે દોઢ વાગ્યે ઓમાનના પૂર્વીય દરિયા કિનારે એક વિદેશી ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર 'મેરીવેક્સ'માં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ જહાજ પર 24 ભારતીય નાવિકો સવાર હતા.
તમામ 24 ભારતીય નાવિકો સુરક્ષિત: કેન્દ્ર સરકાર
શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકારનું સત્તાવાર નિવેદન
શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું કે આ ભયાનક આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી અને તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સૌથી મોટી સકારાત્મક બાબત એ હતી કે આ ટેન્કર તે સમયે ખાલી હતું, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ઓઇલ કે ગેસનો કાર્ગો ભરેલો નહોતો. જો તેમાં કાર્ગો હોત તો મોટો વિસ્ફોટ થવાનું જોખમ વધી ગયું હોત. ડાયરેક્ટર શર્માએ ઉમેર્યું કે શિપિંગ મંત્રાલય આ મામલે વધુ સચોટ માહિતી મેળવવા માટે વિદેશ મંત્રાલય અને જહાજના માલિકના સતત સંપર્કમાં છે.
ભારતના કારવારથી ઓમાનના દુકમ તરફ જઈ રહ્યું હતું જહાજ
ગ્લોબલ શિપ ટ્રેકિંગ ડેટા પૂરો પાડતી સંસ્થા 'મરીન ટ્રાફિક'ના ડેટા અનુસાર, ઓઇલ ટેન્કર મેરીવેક્સ ભારતના કર્ણાટકમાં આવેલા કારવાર બંદરેથી રવાના થયું હતું અને ઓમાનના દુકમ બંદર તરફ આગળ વધી રહ્યું હતું, તે દરમિયાન જ ઓમાનના પૂર્વીય સમુદ્રમાં તે અકસ્માતનો ભોગ બન્યું હતું. ઓલ ઇન્ડિયા સીફેરર્સ યુનિયને પણ આ સેફ્ટી ઓપરેશનની પુષ્ટિ કરી છે અને તમામ પરિવારોના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.


