મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે 30 વર્ષમાં પહેલીવાર કુવૈતે એક ટીપું પણ ઓઈલ નિકાસ ન કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East Crisis: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે. વિશ્વના અગ્રણી ઓઈલ ઉત્પાદક દેશ અને ઓપેક (OPEC)ના સભ્ય કુવૈતે એપ્રિલ 2026માં એક પણ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી નથી. છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે કુવૈત જેવો મોટો ઓઈલ નિકાસકાર દેશ શૂન્ય નિકાસ પર આવી ગયો હોય.
ટેન્કર ટ્રેકર્સનો ચોંકાવનારો રિપોર્ટ
જહાજોની ગતિવિધિઓ પર નજર રાખતી પ્રતિષ્ઠિત વેબસાઇટ 'ટેન્કર ટ્રેકર્સ' દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, એપ્રિલ 2026 દરમિયાન કુવૈતની ક્રૂડ ઓઈલ નિકાસ શૂન્ય રહી હતી. પ્રથમ ગલ્ફ યુદ્ધના અંત પછીના 30 વર્ષમાં આ પ્રકારની સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી.
ઉત્પાદન ચાલુ પણ નિકાસ ઠપ્પ
અહેવાલો અનુસાર, કુવૈતમાં ઓઈલનું ઉત્પાદન અટક્યું નથી, પરંતુ શિપિંગ માર્ગો પરના જોખમોને કારણે નિકાસ સંપૂર્ણપણે બંધ છે. હાલમાં કાઢવામાં આવેલા ઓઈલનો મોટો હિસ્સો સ્ટોરેજમાં મોકલવામાં આવી રહ્યો છે, જ્યારે અમુક હિસ્સાને રિફાઇન્ડ ઉત્પાદનો (જેમ કે પેટ્રોલ, ડીઝલ)માં રૂપાંતરિત કરવામાં આવે છે. જોકે, ક્રૂડ ઓઈલની નિકાસ સદંતર બંધ રહેતા એશિયા અને યુરોપના દેશોમાં ઇંધણના ભાવમાં તોતિંગ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધની ગંભીર અસર : અમેરિકામાં 34 વર્ષ જૂની એરલાઇન્સના રાતોરાત પાટીયા પડ્યાં
હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ અને વૈશ્વિક અસરો
મિડલ ઈસ્ટના દરિયાઈ માર્ગો, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં વધી રહેલા પ્રતિબંધો અને અસુરક્ષાને કારણે ઓઈલ પુરવઠા શૃંખલા ગંભીર રીતે વિક્ષેપિત થઈ છે. કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાનીએ ચેતવણી આપી છે કે જો આ વ્યૂહાત્મક માર્ગોનો ઉપયોગ સોદાબાજીના સાધન તરીકે કરવામાં આવશે, તો વિશ્વભરમાં માત્ર ઉર્જા જ નહીં પરંતુ ખાદ્ય પુરવઠો પણ જોખમમાં મુકાઈ શકે છે.
અમેરિકી નેવીની સક્રિયતા વધી
વધતા તણાવને જોતા યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા મિડલ ઈસ્ટના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને પ્રવૃત્તિઓ વધારી દેવામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં પર્સિયન ગલ્ફમાંથી પસાર થતા 48 જેટલા જહાજોને સુરક્ષાના કારણોસર અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
નિષ્ણાતોના મતે, જો કુવૈતની નિકાસ લાંબા સમય સુધી બંધ રહેશે, તો વૈશ્વિક અર્થતંત્ર પર તેની વિનાશક અસર પડી શકે છે.








