UN Human Rights Council: સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના 55મા સત્રમાં પાકિસ્તાને હંમેશાની જેમ કાશ્મીરનો રાગ આલાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતના ડિપ્લોમેટ અનુપમા સિંહે તેને એવો જડબાતોડ જવાબ આપ્યો કે દુનિયા જોતી જ રહી ગઈ. તેમણે પાકિસ્તાનને ફટકાર લગાવતાં કહ્યું કે, પાકિસ્તાન 'લા-લા લૅન્ડ' એટલે કે કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો દેખાડીને તેની બોલતી બંધ કરી દીધી. તેમણે પાકિસ્તાનના પ્રોપગેન્ડાને તો ધ્વસ્ત કરી જ દીધો, પરંતુ આ સાથે-સાથે તેની આર્થિક પાયમાલી અને જમ્મુ-કાશ્મીરની ખુશહાલી વચ્ચેનું એ અંતર પણ દુનિયાને જણાવ્યું, જેનાથી ચોક્કસપણે પાકિસ્તાનને મરચાં લાગશે. તેમણે કહ્યું કે, 'કાશ્મીરનું બજેટ તમને મળેલી IMFની ભીખ કરતાં પણ વધારે છે.'
કાશ્મીરનું બજેટ તમને મળેલી IMFની ભીખ કરતાં પણ વધારે
અનુપમા સિંહે પાકિસ્તાનના આર્થિક સંકટ પર સીધો પ્રહાર કરતાં કહ્યું કે, 'કદાચ પાકિસ્તાનને એ બાબત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે કે, એકલા જમ્મુ-કાશ્મીરનું વિકાસ બજેટ તેના સમગ્ર બેલઆઉટ પેકેજના બમણાં કરતાં પણ વધુ છે, જેના માટે પાકિસ્તાન IMF સામે કટોરો લઈને ઊભું છે. જો પાકિસ્તાનને વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ચિનાબ બ્રિજ નકલી લાગે છે, તો તે સ્પષ્ટ છે કે તે વાસ્તવિકતાથી ખૂબ દૂર, એક કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે.'
OICને પણ લગાવી ફટકાર
ભારતે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તેના સૂરમાં સૂર મિલાવનાર ઓર્ગેનાઇઝેશન ઑફ ઈસ્લામિક કોઓપરેશન(OIC)ને પણ આડે હાથ લીધું. અનુપમા સિંહે કહ્યું કે, 'OIC સંપૂર્ણપણે એક દેશ(પાકિસ્તાન)ના પ્રોપગેન્ડાનો ગુલામ બની ચૂક્યું છે. આ સંગઠન હવે માત્ર પાકિસ્તાનની રાજકીય મજબૂરીઓનું પુનરાવર્તન કરનારું એક ઈકો ચેમ્બર બનીને રહી ગયું છે.'
કાશ્મીર પર ફાઇનલ મેસેજ
પાકિસ્તાની પ્રોપગેન્ડાના તથ્યોને કચડતાં ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કહી દીધું છે કે, 'જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. કોઈ પણ ખોટો પ્રચાર આ સત્યને બદલી શકશે નહીં. 1947ના ભારતીય સ્વતંત્રતા કાયદા હેઠળ કાશ્મીરનો ભારતમાં વિલય સંપૂર્ણપણે કાયદેસર અને અંતિમ છે. હવે જો કોઈ મુદ્દો બચ્યો છે તો તે પાકિસ્તાનનો POK પર ગેરકાયદેસર કબજો છે. પાકિસ્તાને શક્ય તેટલી વહેલી તકે તે વિસ્તારોને ખાલી કરી દેવા જોઈએ.'
અનુપમા સિંહે કાશ્મીરમાં થયેલા રૅકોર્ડ મતદાનનો હવાલો આપતાં કહ્યું કે, ત્યાંની જનતાએ પાકિસ્તાનની હિંસા અને આતંકવાદની વિચારધારાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. કાશ્મીર હવે વિકાસ અને લોકશાહીની રાહ પર આગળ વધી ચૂક્યું છે.


