યુએસના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના પ્રમુખ જો કેંટનું રાજીનામું- ઇરાન યુધ્ધનું સમર્થન કરવાની ના પાડી દીધી

વોશિંગ્ટન,૧૭ માર્ચ,૨૦૨૬,મંગળવાર
અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના પ્રમુખ જો કેંટ ઇરાન યુધ્ધને લઇને રાજીનામું આપી દીધું છે. જો કેંટ ટ્રપ શાસનના સૌથી વરિષ્ઠ અધિકારી છે જેમણે ઇરાનના યુધ્ધના લીધે જ રાજીનામું આપવાની ફરજ પડી છે કારણ કે તેઓ માને છે કે ઇરાનથી અમેરિકાને કોઇ જ ખતરો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર જો કેંટે ડોનાલ્ડ ટ્રમ્પને લખેલો પત્ર સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કર્યો છે જેમાં જણાવાયું છે કે હું મારા પોતાના અંતઃકરણથી ઇરાનમાં ચાલતા યુધ્ધને સમર્થન આપી શકું તેમ નથી.
ઇરાન અમેરિકા માટે કોઇ જ ખતરો નથી. એટલું સ્પષ્ટ છે કે આ યુધ્ધ ઇઝરાયેલ અને તેની મજબૂત લોબીના દબાણમાં શરુ કર્યુ છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાને કોઇ વાસ્તવમાં ખતરો હોય ત્યારે જ યુધ્ધ શરુ કરવું જોઇએ.અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસમાંથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કેંટ નેશનલ ઇન્ટેલિજેંન્સની નિદેશક તુલસી ગાબાર્ડના ખૂબ નજીક હતા. ઇરાન યુધ્ધ શરુ થયા પછી તુલસી ગાબાર્ડે કોઇ જ સાર્વજનિક નિવેદન આપ્યું નથી. આ મહિને અમેરિકી સૈનિકોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે જ જાહેરમાં દેખાયા હતા.








