ઈઝરાયલની ઈરાન પર મોટી સ્ટ્રાઈક, UAV કમાન્ડર ઠાર કર્યો, ન્યૂક્લિયર સિટીમાં ધડાકા સંભળાયા
Israel-Iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત હુમલાઓ શરૂ છે. ઈરાને તાજેતરમાં ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઇલ અને રૉકેટથી હુમલા કર્યા હતા. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ ઈઝરાયલમાં સાયરન વાગવાના શરૂ થઈ ગયા છે અને ઈરાનથી અનેક રોકેટ શહેરને નિશાનો બનાવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં બ્લાસ્ટ થયા છે. ઈઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે પણ અમુક મિસાઇલ અને રૉકેટને તોડી પાડવામાં સફળતા મેળવી હતી ત્યારે ઈરાનના હુમલાની સાથોસાથ ઈઝરાયલનો દાવો છે કે, તેની વાયુસેનાએ રિવોલ્યૂશનરી ગાર્ડના સેકન્ડ યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર જૌદકી પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે.
અહેવાલો અનુસાર, ઈરાની સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, શુક્રવારે તેહરાનની મિસાઇલ અને ડ્રોન હુમલામાં સૈન્ય સ્થળ, સંરક્ષણ ઉદ્યોગ અને કમાન્ડ તેમજ નિયંત્રણ કેન્દ્રો સામે લાંબી દૂરીની અતિભારે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
20 મિસાઇલથી કરાયો વાર
ઈઝરાયલના સૈન્ય અધિકારીએ કહ્યું કે, 'આ ઈરાની હુમલામાં લગભગ 20 મિસાઇલથી વાર કરવામાં આવ્યો હતો અને ઈઝરાયલની એમ્બ્યુલન્સ સેવા અનુસાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.'
ઈઝરાયલની મીડિયા અનુસાર, ઈરાનના હુમલા બાદ મધ્ય ઈઝરાયલમાં એક ચાર માળની ઈમારતની છત પર આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં કોઈના ફસાયેલા હોવાની કે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે નથી આવી.
મસ્જિદને થયું નુકસાન
ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારના અનુસાર, ઈરાને દક્ષિણ ઈઝરાયલના બીરશેબા અને ઉત્તરમાં હાઇફા પર મિસાઇલ હુમલો કર્યો હતો. જેમાં ઓટોમન કાળની એક મસ્જિદને નુકસાન પહોંચ્યું છે.
ઈઝરાયલનો હુમલો
ઈરાનના હુમલાની સાથોસાથ ઈઝરાયલ પણ સતત હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલનો દાવો છે કે, તેમની વાયુસેનાએ રિવોલ્યૂશનરી ગાર્ડના સેકન્ડ યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર જૌદકી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.
અમીનપુર જૌદકીએ દક્ષિણ-પશ્ચિમી ઈરાનના અહવાઝ વિસ્તારથી ઈઝરાયલ સામે અનેક યુએવી હુમલા કર્યા હતા. 13 જૂન, 2025ના દિવસે IRGC વાયુસેનાએ યુએવી મુખ્યાલયના કમાન્ડર તાહિર પૌરના મોત બાદ જૌદકીએ હેડક્વાર્ટરને ઑપરેટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મિસાઇલ લોન્ચિંગ સાઇટ પર હુમલો
ઈઝરાયલની સેનાએ શુક્રવારે કહ્યું કે, અમે પશ્ચિમી ઈરાનમાં મિસાઇલ લોન્ચિંગ સાઇટ પર હુમલો કર્યો છે. આ પહેલા ઈઝરાયલી સેનાએ કહ્યું હતું કે, ફાઇટર જેટે દક્ષિણ-પશ્ચિમી ઈરાનમાં સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ બેટરીઓ પર હુમલો કર્યો હતો. જેનો હેતુ હવાઈ હુમલામાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો હતો. ઈરાનના દક્ષિણ-પશ્ચિમ ખુજસ્તાન પ્રાંતમાં વિસ્ફોટકોનો અવાજ સંભળાયો હતો, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નિપજ્યા હતા.
ન્યૂક્લિયર રિસર્ચ સાઇટ પર બ્લાસ્ટ
વળી ઈરાનના ન્યૂક્લિયર રિસર્ચ સાઇટ ઇસ્ફહાનમાં પણ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. ઈરાનની સરકારી મીડિયાએ જણાવ્યું કે, ઈઝરાયલે ઈરાનના મધ્ય શહેર ઇસ્ફહાન પર મિસાઇલ હુમલો કર્યો છે. અહીં દેશના સૌથી મોટા પરમાણુ પરિસરમાંથી એક પરિસર આવેલું છે. ઈઝરાયલ દ્વારા આ જાહેરાત કર્યાની થોડીવાર બાદ અપડેટ સામે આવી હતી કે, ઈરાન પર મિસાઇલની એક નવી વેવ લોન્ચ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઈઝરાયલે તેહરાનમાં એક બેકરી અને એક હેરડ્રેસરની પાંચ માળની ઈમારત પર હુમલો કર્યો હતો. જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઈરાને પોતાના એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી દીધું હતું.
અમે હુમલા નહીં રોકીએ, જ્યાં સુધી...
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના દૂત ડેની ડેનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું કે, તેમનો દેશ ત્યાં સુધી હુમલા નહીં રોકે જ્યાં સુધી ઈરાનનો પરમાણુ જોખમ ખતમ નથી થઈ જતું.
અમેરિકા પણ યુદ્ધમાં જોડાશે?
ઈરાનના યુએન રાજદ્વારી અમીર સઈદ ઈરાવાનીએ સુરક્ષા પરિષદને કાર્યવાહી કરવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે, તેહરાન એવા અહેવાલોથી ચિંતિત છે કે અમેરિકા યુદ્ધમાં જોડાઈ શકે છે. જણાવી દઈએ કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા 2 અઠવાડિયામાં નિર્ણય લેશે કે તે આ યુદ્ધમાં ઈઝરાયલ સાથે જોડાશે કે નહીં.
એક વરિષ્ઠ ઈરાનના અધિકારીએ જણાવ્યું કે, ઈરાન યૂરેનિયમ ઇનરિચમેન્ટની લિમિટેશન પર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ, ઈરાન આ શરતનો સ્વીકાર ક્યારેય નહીં કરે કે, ઈરાન યૂરેનિયમ ઇનરિચમેન્ટ કરે જ નહીં. યૂરેનિયનો બિલકુલ ઇનરિચ ન કરવાનો પ્રસ્તાવ અસ્વીકાર કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે ઈઝરાયલના સતત હુમલા શરૂ હોય.
જણાવી દઈએ કે, ઈઝરાયલે ગત શુક્રવારે ઈરાન પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ઈઝરાયલનો આરોપ છે કે, તેનો જૂનો દુશ્મન પરમાણુ હથિયાર વિકસિત કરવાની અણીએ છે. ઈરાને કહ્યું કે, અમારો પરમાણુ કાર્યક્રમ ફક્ત શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે છે. ઈરાને ઈઝરાયલી હુમલાનો જવાબ આપવા માટે મિસાઇલ અને ડ્રોન સાથે જવાબી કાર્યવાહી કરી છે.