યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી નેપાળ-શ્રીલંકાના નાગરિકોને પણ બચાવશે ભારત, બંને દેશોની અપીલને પગલે નિર્ણય
|
Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારત એકવાર ફરી પાડોશી ધર્મ નિભાવવા માટે તૈયાર છે. નેપાળ અને શ્રીલંકાએ ઈરાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારત પાસે મદદ માંગી છે. બંને દેશોની વિનંતી પર ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો છે. ઈરાને ભારતીય દૂતાવાસે જાહેરાત કરી છે કે, અમે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને તેમની સરકારની વિનંતી પર ઈરાનથી બહાર કાઢીશું.
ભારતનો આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, 'નેપાળ અને શ્રીલંકાની સરકારની વિનંતી પર ઈરાનમાં ભારતીય દૂતાવાસના સ્થળાંતરના પ્રયાસોમાં નેપાળ અને શ્રીલંકાના નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવશે.' દૂતાવાસે નેપાળ અને શ્રીલંકાના નાગરિકો માટે ઈમરજન્સી નંબર પણ જાહેર કર્યો છે.
શું છે ઓપરેશન સિંધુ?
હકીકતમાં, ભારતે પોતાના લોકોને ઈરાનમાંથી બહાર કાઢવા માટે ઓપરેશન સિંધૂ શરૂ કર્યું છે. ભારતનું આ ઓપરેશન સિંધુ યુદ્ધગ્રસ્ત ઈરાન અને ઈઝરાયલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટેનું મહત્ત્વપૂર્ણ મિશન છે.
517 લોકો ભારત પરત ફર્યા
ઈરાનથી સતત ભારતીય વિદ્યાર્થીઓને વિમાન મારફતે ભારત લાવવામાં આવી રહ્યા છે. એક ફ્લાઈટ શુક્રવારે રાતે અને આજે સવારે પણ ઈરાનના મશહદથી બીજી વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી હતી. રાતની ફ્લાઈટમાં 290 જ્યારે સવારની ફ્લાઈટમાં 117 લોકો ભારત પરત ફર્યા છે. તેમાંથી મોટા ભાગના જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ હતા. અત્યાર સુધી 517થી વિદ્યાર્થીઓ ભારત આવી ગયા છે. તેમની વાપસીથી વિદ્યાર્થીઓ અને ચિંતિત પરિવારને મોટી રાહત મળી છે.