ચીને પહેલીવાર બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે ત્રિપક્ષીય બેઠક યોજી, ભારત માટે કેમ ચિંતાનો વિષય?
Images Source: 'X' |
Pakistan, China And Bangladesh Trilateral Meeting: ભારતના પાડોશી દેશ ચીને ગુરુવારે (19મી જૂને) પહેલીવાર પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદેશ સચિવોની ત્રિપક્ષીય બેઠકનું યોજી હતી. ભારતની નજરમાં આ ઘટનાક્રમને વ્યૂહાત્મક અને રાજદ્વારી રીતે મહત્ત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખટાશ ચાલી રહી છે. આ બેઠક ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરમાં યોજાઈ હતી જેમાં ચીનના નાયબ વિદેશ મંત્રી સન વેઈડોંગ, બાંગ્લાદેશના કાર્યકારી વિદેશ સચિવ રુહુલ આલમ સિદ્દીકી, પાકિસ્તાનના એશિયા-પેસિફિક વિભાગના અધિક સચિવ ઈમરાન અહેમદ સિદ્દીકી અને પાકિસ્તાનના વિદેશ સચિવ આમના બલોચ કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.
બેઠકમાં આ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, આ બેઠકમાં ત્રણેય દેશો વેપાર અને રોકાણ, આરોગ્ય અને શિક્ષણ, દરિયાઈ બાબતો અને પ્રાદેશિક જોડાણમાં બહુપક્ષીય સહયોગ વધારવા સંમત થયા હતા. બેઠક દરમિયાન એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે જે આ બેઠકમાં થયેલી સર્વસંમતિને અમલમાં મૂકવા પર કામ કરશે.
આ ત્રિપક્ષીય બેઠક કોઈ અન્ય દેશની વિરુદ્ધ નહોતી. જોકે, ભારતની ચિંતાઓ આનાથી અલગ છે. પાકિસ્તાન-બાંગ્લાદેશ સમીકરણમાં પરિવર્તન જોવા મળ્યું છે. બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખૂબ સારા હતા. ઓગસ્ટ 2024થી પાકિસ્તાને સંરક્ષણ, વેપાર અને રાજદ્વારી સહિત ઘણાં ક્ષેત્રોમાં વચગાળાની સરકાર સાથે સંબંધો ઝડપથી મજબૂત કરવાનું શરૂ કર્યું. એવો પણ દાવો કરવામાં આવે છે કે, શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં પાકિસ્તાનની ISI અને સેનાએ મોટી ભૂમિકા ભજવી હતી.
ચીનની ભૂમિકા અને વ્યૂહરચના
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના સત્તા પરથી ગયા પછી ચીન શરૂઆતમાં થોડું પાછળ હટી ગયું હતું, પરંતુ હવે તેમણે વચગાળાના શાસન સાથે આર્થિક ભાગીદારી દ્વારા ફરીથી પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું છે. આ ત્રિપક્ષીય બેઠક ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને પ્રભાવ સામે સીધો પડકાર હોય તેવું લાગે છે.
ભારત કેમ ચિંતિત છે?
નવેમ્બરથી પાકિસ્તાને ચિત્તાગોંગ બંદરથી બે વ્યાપારી જહાજો મોકલ્યા છે. આ ઘટનાઓને બંગાળની ખાડીમાં ભારતની પહોંચને નબળી પાડવાના પ્રયાસો માનવામાં આવે છે. આ ભારત માટે વ્યૂહાત્મક રીતે ચિંતાજનક છે કારણ કે બાંગ્લાદેશ એક મુખ્ય પાડોશી અને ઉત્તરપૂર્વ ભારત માટે જીવનરેખા સમાન રહ્યું છે.