ટ્રમ્પે જ સ્વીકારી લીધું કે ઇઝરાયલ ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટનું કંઈ નહીં બગાડી શકે, જાણો કેમ
Images Source: FB |
Iran-Israel War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે નવ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષો એકબીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલનું નિશાન ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર છે, જેના માટે તેણે અમેરિકા પાસેથી પણ મદદ પણ માંગી છે, પરંતુ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ઇઝરાયલ પાસે ઈરાનના અંડરગ્રાઉન્ડ ફોર્ડો (FORDOW) પરમાણુ પ્લાન્ટને ખતમ કરવાની ક્ષમતા નથી. ઇઝરાયલ પાસે ખૂબ જ મર્યાદિત ક્ષમતા છે. તે ફોર્ડોના એક ભાગને થોડું નુકસાન પહોંચાડી શકશે પરંતુ તેનો નાશ નહીં કરી શકે.'
'ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા'
અહેવાલો અનુસાર, અમેરિકાનો દાવો છે કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, 'ઈરાનના સુપ્રીમ લીડરના આદેશ પર, ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે. તેહરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી બધી સામગ્રી છે. જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવશે તો તે સમગ્ર વિશ્વ માટે ખતરો બનશે અને ખતરો વધશે.'
ઇઝરાયલે 12મી જૂને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે 12મી જૂને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો ઓપરેશન રાઇઝિંગ લાયન હેઠળ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનાથી ગુસ્સે ભરાયેલા ઇરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ અને તેના રહેણાંક વિસ્તારો પર હુમલો કરવાનું શરુ કરી દીધું. આ કારણે, બંને બાજુથી સતત હુમલા થઈ રહ્યા છે.
ઈરાને ભારત માટે એરસ્પેસ ખોલી દીધું છે. યુદ્ધ દરમિયાન ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને ઓપરેશન સિંધુ હેઠળ તેમના વતન પાછા લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે (20મી જૂન) રાત્રે અને સવારે એમ બે ફ્લાઇટમાં કુલ 407 ભારતીયોને ભારત પાછા લાવવામાં આવ્યા હતા. અગાઉ 19મી જૂને 110 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા હતા. આ કામગીરી હેઠળ, સરકાર આગામી બે દિવસમાં લગભગ એક હજાર ભારતીય નાગરિકોને બચાવશે.