- જે મકાનો તોડી પડાયા તે પૈકી BLAના નેતા બશીર જેબ બલોચનું પિતૃગત નિવાસસ્થાન પણ સમાવિષ્ટ છે
નુશ્કી : બલુચિસ્તાનમાં સ્વતંત્રતા સંઘર્ષ બંધ થવાનું નામ લેતો નથી. પ્રાંતના નુશ્કી જિલ્લાના કાઝીયાબાદ વિસ્તારમાં આવેલા આઇએસઆઈના મુખ્યાલય પાસેના ઘરો જમીનદોસ્ત કરી નખાયા છે. બલુચિસ્તાન-પોસ્ટ નામક પત્રિકાના રિપોર્ટ મુજબ તે ઘરોમાં રહેનારાઓને કેટલાએ દિવસો પૂર્વે નોટિસ અપાઇ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઘર-ખાલી કરો. સાથે તે નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે દર્શાવેલી સમય મર્યાદામાં જો ઘરની બહાર નહીં નીકળો તો પણ તે ઇમારતો જમીન દોસ્ત કરવામાં આવશે.
છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાની સેનાએ કટેલાએ ઘર તોડી પાડયા છે. તે મકાનોને વિસ્ફોટકો અને ભારે ઉપકરણો દ્વારા તોડી પડાયા છે. આ મકાનો આઇએસઆઈના સ્થાનિક મુખ્યાલયની આસપાસના હતા. તેમાથી હુમલા થવાની ભીતિએ તે તોડી પાડવામાં આવ્યા હતા.
કહેવાય છે કે જે મકાનો તોડી પડાયા હતા તે પૈકી એક મકાન બલુચ લિબરેશન પાર્ટીના નેતા બશીર જેબ બલુચનું પૈતૃક નિવાસસ્થાન પણ સમાવિષ્ટ છે. આ રિપોર્ટમાં તેમ પણ કહેવાયું છે કે ગ્વાદા સહિત અન્ય શહેરોમાં પણ મકાનો તોડી પડાયા છે. તે ઉપરથી એમ લાગે છે કે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ હવે બલુચ વિદ્રોહીઓથી ડરી ગઈ છે.
બલુચિસ્તાનના નુશ્કી જિલ્લાના કાઝીયાબાદ શહેર ઉપરાંત અન્ય કેટલાએ શહેરોમાં સાંજના ૬.૦૦ વાગ્યાથી સવાર સુધીનો રાત્રી કફર્યુ લગાડી દેવાયો છે.


