Israel-Iran War Update : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં આજે ટોચના વધુ બે અધિકારીના મોત થયા હોવાનો અહેવાલો સામે આવ્યા છે. ઈરાને કહ્યું કે, ‘ઈઝરાયલના હુમલામાં ઈસ્લામિક રિવ્યૂલેશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)ના પ્રવક્તા અલી મોહમ્મદ નૈની મોત થયું છે. જ્યારે અન્ય એક હુમલામાં ઈરાનના બાસીજ ફોર્સના ગુપ્તચર વડા જનરલ ઈસ્માઈલ અહમદીનું પણ મોત થયું છે.’
નૈની ઈરાન-ઈરાક યુદ્ધના અનુભવી સૈનિક હતા
ઈરાની સૈન્યના તમામ દળોના સર્વોચ્ચ વડા અને IRGCના કમાન્ડર ઈન-ચીફ હુસૈન સલામીએ 2024માં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરીગાર્ડ કૉર્પ્સના પ્રવક્તા તરીકે અલી મોહમ્મદ નૈનીની નિમણૂક કરી હતી. 1957માં જન્મેલા નૈની ઈરાન-ઈરાક યુદ્ધના અનુભવી સૈનિક હતા, જેમાં તેઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઉપરાંત નૈની સેકન્ડ બ્રિગેડિયર જનરલનું પણ પણ સંભાળતા હતા. તેઓ IRGCના નિવેદનો પણ જારી કરતા હતા.
અગાઉ અલી લારિજાનીનું મોત થયું હતું
ઈઝરાયલે કહ્યું છે કે, તેણે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ સ્થળો અને ડિફેન્સ સિસ્ટમ બિલ્ડિંગો સહિત 130થી વધુ સ્થળો પર હુમલા કર્યા હતા. આ પહેલા 17 માર્ચે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ એરસ્ટ્રાઇકમાં ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની અને તેમના પુત્ર મોર્તઝા લારિજાનીનું મૃત્યુ થયું છે. લારિજાની તેહરાનના ઉત્તર-પૂર્વમાં આવેલા પરદિસ વિસ્તારમાં પોતાની પુત્રીના ઘરે રોકાયા હતા. ઈઝરાયલી સેનાએ ચોક્કસ બાતમીના આધારે લારિજાનીને ટાર્ગેટ બનાવીને આ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં માત્ર અલી લારિજાની જ નહીં, પરંતુ તેમની સાથે રહેલા તેમના પુત્ર મોર્તઝા, સુરક્ષા બાબતોના ડેપ્યુટી અલીરેઝા બાયાત અને કેટલાક બોડીગાર્ડ્સના પણ ઘટનાસ્થળે જ મોત થયા હતા.


