| (IMAGE - IANS) |
Iran Weighs Exit from NPT: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે પરમાણુ મુદ્દે નવો વળાંક આવ્યો છે. ઈરાનની સંસદ અત્યારે ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી(NPT)માંથી બહાર નીકળવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. જો ઈરાન આ સંધિમાંથી બહાર નીકળી જાય, તો તેના પરમાણુ હથિયારો વિકસાવવા પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટી જશે અને તેના પરમાણુ કાર્યક્રમ પરની વૈશ્વિક દેખરેખ પણ બંધ થઈ જશે. ઈરાને આ પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી દાદાગીરી સામેનો વળતો જવાબ ગણાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે જો કોઈ સંધિ તેમને અધિકારોનો લાભ ન આપતી હોય અને ઉલટાનું તેમના પરમાણુ મથકો પર હુમલા થતા હોય, તો તેમાં જોડાયેલા રહેવાનો કોઈ અર્થ નથી. જોકે, ઈરાને ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેમણે ક્યારેય પરમાણુ હથિયાર મેળવવાની કોશિશ કરી નથી.
ઈરાન ચોરીછૂપીથી પરમાણુ હથિયારો બનાવતું હોવાનો અમેરિકાનો દાવો
બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયલ સતત એવો આરોપ લગાવી રહ્યા છે કે ઈરાન ચોરીછૂપીથી પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે. આ જ આરોપ હેઠળ ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો પણ કર્યો હતો. તે પહેલા ગયા વર્ષે જૂન મહિનામાં પણ અમેરિકાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન જેવા મુખ્ય પરમાણુ મથકોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાનો દાવો છે કે ઈરાને આ સ્થળથી આશરે 400 કિલોગ્રામ યુરેનિયમ ખસેડ્યું છે, જેનો ઉપયોગ હથિયારો બનાવવા માટે થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાન હવે બ્રિક્સ જેવા સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે મળીને પરમાણુ ટૅક્નોલૉજીના શાંતિપૂર્ણ વિકાસ માટે એક નવું આંતરરાષ્ટ્રીય માળખું તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
યુરેનિયમના વધતા જથ્થા અંગે IAEA દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત
જો ઈરાન ખરેખર 1970ની આ મહત્ત્વની સંધિમાંથી બહાર નીકળશે, તો પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક અસ્થિરતા વધવાની પૂરી શક્યતા છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ પગલાથી ઈરાન પર આંતરરાષ્ટ્રીય દેખરેખ નબળી પડશે અને તેના કારણે ઈરાન પર વધુ કડક પ્રતિબંધો આવી શકે છે અથવા તે રાજદ્વારી રીતે એકલું પડી શકે છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી(IAEA)એ પણ ઈરાન પાસે વધી રહેલા સમૃદ્ધ યુરેનિયમના ભંડાર અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને 2018 પછી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઘણો વિકસિત થયો છે, જે હવે વિશ્વના શક્તિશાળી દેશો માટે માથાનો દુખાવો બની રહ્યો છે.


