'ઈરાન ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારે', સીઝફાયરના દાવાઓ વચ્ચે ખામેનેઈનું મોટું નિવેદન
(PHOTO - X/Khamenei_fa) |
Iran-Israel Ceasefire: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 12 દિવસથી સતત સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કતારની મધ્યસ્થીથી સીઝફાયર કરવામાં આવ્યું છે. સીઝફાયરની જાહેરાત પહેલા, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'અમે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. અમે કોઈપણ સંજોગોમાં કોઈના પણ જુલમને સ્વીકારીશું નહીં અને અમે કોઈની સામે ઝૂકીશું નહીં. આ ઈરાની રાષ્ટ્રનો તર્ક છે.'
ઈરાન યુદ્ધવિરામના મૂડમાં નથી!
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે એક નવા વળાંક પર પહોંચી ગયું છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી છે. ઈરાને આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ખામેનેઈએ કહ્યું, 'જે લોકો ઈરાની લોકો અને તેમના ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે ઈરાન રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારવાનો દેશ નથી.'
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાત કહી છે. આ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન હાલમાં યુદ્ધવિરામના મૂડમાં નથી. તે ઇઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
આજે સવારે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યાના અહેવાલ
એક તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, તો બીજી તરફ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે(IDF) એ અહેવાલ આપ્યો છે કે મંગળવારે સવારે ઈરાન તરફથી ઇઝરાયલ પર બે રાઉન્ડમાં છ મિસાઇલ છોડવામાં આવી છે. પહેલા હુમલામાં બે મિસાઇલનો સમાવેશ થાય છે, જ્યારે બીજા હુમલામાં ચાર મિસાઇલ હતી. બીજા હુમલામાં, બીરશેબામાં એક ઍપાર્ટમેન્ટ બ્લોકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવ્યા પછી, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઇઝરાયલના કેટલાક વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા હતા. તેમજ ઇઝરાયલનો દાવો છે કે ઈરાનના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે.
આ પણ વાંચો: સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલ પર આઠ મિસાઈલ છોડી, 3ના મોત: રિપોર્ટ
સોમવારે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી સીઝફાયરની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ અને ઈરાન સીઝફાયર લાગુ કરવા માટે ઔપચારિક કરાર પર પહોંચી ગયા છે, જેમાં થોડા કલાકોમાં સંઘર્ષનો સત્તાવાર અંત આવવાની અપેક્ષા છે. ટ્રમ્પે લખ્યું હતું કે, 'બધાને અભિનંદન! ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણપણે સંમતિ થઈ ગઈ છે કે હવેથી લગભગ 6 કલાક પછી જ્યારે ઇઝરાયલ અને ઈરાન તેમના અંતિમ મિશન પૂર્ણ કરશે, ત્યારે 12 કલાક માટે સંપૂર્ણ સીઝફાયર થશે. આ પછી યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે.'
ઈરાન પર અમેરિકાનો હુમલો
અમેરિકાએ ભારતીય સમય મુજબ 22 જૂન, 2025ના રોજ સવારે 4:30 વાગ્યે ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો નતાન્ઝ, ફોર્ડો અને એસ્ફહાન પર હુમલો કર્યો. ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે, 'ઈરાને હવે સીઝફાયર માટે સંમત થવું જોઈએ. જો ઈરાન શાંતિ સ્થાપિત નહીં કરે, તો તેના પર વધુ મોટા હુમલા કરવામાં આવશે.'