World

UAEની એક હરકત પર અકળાયું ઈરાન, ભારતના વખાણ કરવાની સાથે ચેતવણી ઉચ્ચારી

By GS Team
14 May 20263 mins read
TukuTouch Logo
ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝિમ ગરીબાબાદી હાલ ભારતની મુલાકાતે છે. નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની મહત્ત્વની બેઠક પહેલા તેમણે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, વૈશ્વિક વેપાર અને ભારતની ભૂમિકા અંગે અત્યંત ગંભીર નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિક્સના એક સભ્ય દેશના અડિયલ વલણને કારણે પશ્ચિમ એશિયાના વિવાદ પર 'આમ સહમતિ' સધાઈ રહી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

UAEની એક હરકત પર અકળાયું ઈરાન, ભારતના વખાણ કરવાની સાથે ચેતવણી ઉચ્ચારી
(IMAGE - IANS)

Iran UAE BRICS Conflict: ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝિમ ગરીબાબાદી હાલ ભારતની મુલાકાતે છે. નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની મહત્ત્વની બેઠક પહેલા તેમણે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, વૈશ્વિક વેપાર અને ભારતની ભૂમિકા અંગે અત્યંત ગંભીર નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિક્સના એક સભ્ય દેશના અડિયલ વલણને કારણે પશ્ચિમ એશિયાના વિવાદ પર 'આમ સહમતિ' સધાઈ રહી નથી.

બ્રિક્સમાં ફૂટ પાડવાનો પ્રયાસ: UAE પર ગંભીર આરોપ

ગરીબાબાદીએ કોઈનું નામ લીધા વિના સીધો સંકેત આપ્યો કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE) બ્રિક્સ સમૂહમાં ઈરાનની નિંદા કરવા પર ભાર મૂકી રહ્યું છે. ઈરાને આક્ષેપ કર્યો કે આ અમુક આરબ દેશોએ જ અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે પોતાના સૈન્ય મથકો વાપરવા દીધા છે. ઈરાનનું માનવું છે કે જો બ્રિક્સના સભ્યો અંદરોઅંદર વિભાજિત દેખાશે, તો તેનાથી દુનિયામાં ખોટો સંદેશ જશે, જે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા માટે પણ સારું નથી. ગરીબાબાદીએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સફળ થાય.

શાંતિ માટે ભારત પર ભરોસો

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે ઈરાને ભારતની ભૂમિકાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. ઈરાન મુજબ, ભારત હંમેશા નિષ્પક્ષ રહ્યું છે અને શાંતિનું સમર્થક છે. પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવા માટે ભારત જો કોઈ પણ પ્રકારની મધ્યસ્થી અથવા પહેલ કરશે, તો ઈરાન તેને હોંશભેર સ્વીકારશે. ભારતની આ વ્યૂહનીતિ વૈશ્વિક સ્તરે તેનું મહત્ત્વ વધારી રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટ અને નવો 'ટોલ સિસ્ટમ'

દુનિયાના 20% તેલ અને ગેસ જે દરિયાઈ માર્ગેથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' હાલ બંધ જેવી સ્થિતિમાં છે. આ મુદ્દે ઈરાને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે તે અને ઓમાન મળીને વેપારી જહાજો માટે એક નવી 'સર્વિસ અને પેમેન્ટ' સિસ્ટમ બનાવી રહ્યા છે. આ સિસ્ટમ હેઠળ જહાજના કદ અને માલના વજન મુજબ ફી (ટોલ) લેવામાં આવશે અને તેમને સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. ઈરાને રાહત આપતા કેટલાક ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી પણ આપી દીધી છે. જોકે, આ રસ્તો સંપૂર્ણપણે ત્યારે જ ખુલશે જ્યારે અમેરિકા નાકાબંધી હટાવશે અને ઈરાનના ફ્રીઝ કરેલા નાણાં પરત કરશે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે કહ્યું - ભારત સાથે વાત કરવાની જરૂર નથી, ગંગા નદી પર ડેમ પ્રોજેક્ટનું કર્યું એલાન

ચાબહાર પોર્ટ અને અમેરિકન દબાણ

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સાથે મળીને ચાબહાર બંદર પ્રોજેક્ટ પૂર્ણ કરવા કટિબદ્ધ છે. હવે એ ભારત પર નિર્ભર છે કે તે અમેરિકન પ્રતિબંધો વચ્ચે આ પ્રોજેક્ટને કેવી રીતે આગળ ધપાવે છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી મધ્યસ્થી પર ઈરાને કટાક્ષ કર્યો કે પાકિસ્તાન માત્ર એક સુવિધા આપનાર (Facilitator) છે. ઈરાને અમેરિકા પર પ્રહાર કરતા કહ્યું કે આ યુદ્ધમાં અમેરિકાને ભારે વ્યૂહાત્મક નુકસાન થયું છે અને તે શાંતિથી વિવાદ ઉકેલવા માંગતું નથી.

બ્રિક્સની વધતી તાકાત

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આ બે દિવસીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે, જેમાં રશિયા અને ઈરાનના વિદેશ મંત્રીઓ પણ ભાગ લઈ રહ્યા છે. વર્ષ 2024માં ઈરાન, અબુ ધાબી (UAE), ઇજિપ્ત અને ઇથોપિયાના જોડાણ બાદ હવે ઇન્ડોનેશિયા પણ બ્રિક્સમાં સામેલ થયું છે. આજે આ 11 દેશોનો સમૂહ દુનિયાની અડધી વસ્તી અને 40% જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે, જે પશ્ચિમી દેશોના વર્ચસ્વ સામે એક નવો આર્થિક પક્ષ રજૂ કરે છે.