Iran US War: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનમાં થયેલી મંત્રણાઓ નિષ્ફળ જતાં હવે યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. ત્યારે હવે ઈરાનને આશા છે કે અમેરિકાને લાઈન પર લાવવામાં ભારત, ચીન અને રશિયા જેવી વૈશ્વિક શક્તિઓ પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે તો દુનિયાને યુદ્ધની સ્થિતિથી બહાર લાવી શકાય છે. આમ તો ઈરાને મિડલ ઈસ્ટ યુદ્ધમાં ભારત સહિત ત્રણેય દેશોની અત્યાર સુધીની વ્યૂહનીતિના વખાણ કર્યા છે.
મુંબઈમાં ઈરાનના કાઉન્સિલ જનરલ સઈદ રજા મોસયેબ મોતલાઘે કહ્યું છે કે, 'આ ખુબ જ મોટી વિટંબણા છે કે અમેરિકા અને ઇઝરાયલ હત્યાને સમાધાન રૂપે રજૂ કરી રહ્યા છે.'
ઈરાને ભારત, ચીન અને રશિયાની વ્યૂહનીતિના કર્યા વખાણ
ભારતમાં ઈરાની રાજદૂતે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, 'પોતાના હિતોના જોખમ છતાં ભારત, ચીન અને રશિયાના સંઘર્ષમાં દખલગીરીથી દૂર રહીને એ સાબિત કર્યું છે કે તેઓ શાંતિ ઈચ્છે છે. ન તો અમેરિકાના હુમલાને યોગ્ય માન્યા કે ન તો તેનું સમર્થન કર્યું, અને ન તો તેમણે ખુદને ઈરાનની સૈન્ય સહાયતા કરવાની સ્થિતિમાં રાખ્યા. પરંતુ તેના બદલે તેમણે શાંતિને પ્રોત્સાહન આપવા અને અર્થતંત્રને સ્થિર કરવાના પ્રયાસ કર્યા. જોકે, એવું લાગે છે કે તેઓ હજુ સુધી અમેરિકાને સમજાવવામાં સફળ નથી થઈ શક્યા.'
સંઘર્ષને રોકવા માટે ત્રણેય મહાશક્તિઓ પાસે આશા
ઈરાનને લાગે છે કે જો દુનિયાની આ ત્રણેય મહાશક્તિઓ હજુ પણ અમેરિકા અને ઈઝરાયલને સમજાવવાનો પ્રયાસ કરશે તો તેના પર પ્રેશર વધુ શકે છે.
તેમ છતા ત્રણેય મહાશક્તિઓ પાસેથી અપેક્ષા છે કે તેઓ અમેરિકાને યુદ્ધ ભડકાવવા જેવી હરકતો પર લગામ લગાવવા માટે મનાવવામાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે અને તેની સાથે જ આ ઈઝરાયલ શાસન પર પ્રેશર કરશે જે દુનિયામાં કબજો કરવા અને જોર જબરદસ્તી કરનારા અનૈતિક આચરણનો એક સ્ત્રોત છે.
યુદ્ધ માટે અમેરિકા-ઈઝરાયલને જવાબદાર ગણાવ્યા
ભારતમાં ઈરાની દૂતે કહ્યું કે, 'વિટંબણા એ છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝરાયલ હત્યાને એક સમાધાન તરીકે રજૂ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી આ મુદ્દાઓનું સમાધાન ન થઈ જાય, દુર્ભાગ્યથી વિશ્વને બેલગામ સંઘર્ષ અને યુદ્ધનો સામનો કરવો પડશે.'
અમેરિકાની શરતો સામે ઈરાન ઝુકશે નહીં
અમેરિકા સાથે ઈરાનની થયેલી શાંતિ વાટાઘાટો પર સઈદ રજા મોસયેબ મોતલાઘે કહ્યું કે, 'પરિણામોથી ખબર પડે છે કે, વ્યૂહનીતિમાં અમેરિકા શું રસ્તો અપનાવે છે. અમેરિકા ઈરાન પર શરતો થોપવા ઈચ્છે છે. ઈરાનને શરતો માનવી હોત તો અમે 40 દિવસ સુધી સંઘર્ષનો સામનો ના કરત, ન તો અમારા પર બોજ પડતો, ન તો ફારસની ખાડીના દેશોની સામે સમસ્યા સર્જાત, ન તો અમેરિકા અને ન તો યહુદી શાસનને અને ન તો અન્ય દેશોને આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડતી, જેનાથી તેઓ આ પરિસ્થિતિના કારણે પસાર થઈ રહ્યા છે.'
ઈરાન આગળ પણ વાતચીતથી ઉકેલ માટે તૈયાર
ઈરાનના કાઉન્સિલ જનરલનું કહેવું છે કે, ઈરાને શરૂઆતથી સ્પષ્ટ કર્યું છે કે, તેઓ એક સ્વતંત્ર દેશ છે, જે પોતાના નિર્ણય રાષ્ટ્રહિતના આધારે જ લે છે. ઈરાન સ્વાભાવિક રીતે વાતચીત માટે તૈયાર હતું અને આજે પણ તેના માટે તત્પર છે. જોકે, દુનિયાની કોઈપણ તાકાત ઈરાન પર હુકમ ન થોપી શકે અને ન તો અમે તેનો સ્વીકાર કરી શકીએ.


