Tragic London Deaths: લંડનના એક લક્ઝરી એપાર્ટમેન્ટ બ્લોક પરથી પડી જવાને કારણે ભારતીય મૂળના એક દંપતિ અને તેમના 9 વર્ષના પુત્રનું મોત થયું છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ કેસને હત્યા કે આપઘાતનો કેસ માનવામાં આવી રહ્યો છે.
પુત્ર ગંભીર બીમારીઓ સાથે પેદા થયો હતો અને તેનાથી કંટાળી આપઘાત કર્યાની શક્યતા
અહેવાલો અનુસાર, દક્ષિણ લંડનના એલિફન્ટ એન્ડ કેસલ વિસ્તારમાં હાઈ પોઈન્ટ ટાવર બ્લોકમાં પોતાના એપાર્ટમેન્ટના 38મા માળની બાલકનીમાંથી પડી જવાને કારણે 47 વર્ષીય રાકેશ પાઈ, 46 વર્ષીય અદિતિ પારલકર અને તેમના પુત્ર સિડનું મોત થયું હતું. આ પરિવાર 45 માળની ઈમારતના 38મા માળે રહેતો હતો. જે જમીનથી લગભગ 400 ફૂટ ઉપર હતું. બર્મોન્ડસે અને ઓલ્ડ સાઉથવાર્કના લેબર પાર્ટીના સાંસદ નીલ કોયલે જણાવ્યું હતું કે, 'સિડ ગંભીર બીમારીઓ સાથે પેદા થયો હતો. પોલીસનું માનવું છે કે તેની સ્થિતિએ જ તેમના આ ભયાનક નિર્ણયમાં ભૂમિકા ભજવી હતી.'
આ પણ વાંચો: જેનો ડર હતો એ જ થયું! અપાચે હેલિકોપ્ટર નષ્ટ થયા બાદ અમેરિકાએ ઈરાન પર કર્યો મોટો હુમલો
સાક્ષીઓ દ્વારા કેટલાક લોકોના ઊંચાઈથી પડવાના સમાચાર આપવામાં આવ્યા પછી ઈમરજન્સી સર્વિસને આ પરિવારના સભ્યો ગંભીર સ્થિતિમાં મળી આવ્યા હતાં. પેરામેડિક્સે તેમને બચાવવાનાં પ્રયત્નો કર્યા હતાં પણ ત્રણેયને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
ભારતમાં જન્મેલા પાઈ અને પારલકર અનુક્રમે ફાઈનાન્સ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં કન્સલટન્ટ તરીકે કાર્ય કરતા હતાં. દંપતિએ 2020માં પોતાની પુત્રની સારવાર ભારતમાં પણ કરાવી હતી. જો કે, તેની સ્થિતિમાં સુધારો ન થતાં તેઓ ગયા વર્ષે બ્રિટન પરત ફર્યા હતાં.


