India US Trade Deal Big Update : ભારત અને અમેરિકા વચ્ચે સૂચિત વચગાળાના વેપાર કરાર (Interim Trade Deal) ને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની અંતિમ વિગતો નક્કી કરવા માટે વોશિંગ્ટનમાં યોજાનારી ચીફ નેગોશિયેટર્સ (મુખ્ય વાટાઘાટકારો) ની બેઠક હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની બેઠક શરૂ કરવાની હતી, પરંતુ હવે તેને 'રિશેડ્યૂલ' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શા માટે ભારત-US બેઠક ટાળવામાં આવી?
પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, આ મામલે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે બંને દેશોના પ્રતિનિધિઓ માને છે કે નવીનતમ વૈશ્વિક વિકાસ અને તેની અસરોને સમજવા માટે થોડા વધુ સમયની જરૂર છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફ અંગેના તાજેતરના ચુકાદા અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા પગલાંના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જણાય છે. હવે આ બેઠક પરસ્પર સંમતિથી નવી તારીખે યોજાશે.
આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર
ટ્રમ્પના ટેરિફ વધારા બાદ સ્થિતિ બદલાઈ
નોંધનીય છે કે અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના 'રેસિપ્રોકલ ટેરિફ' ને ગેરકાયદે ગણાવી રદ કર્યા હતા. જોકે, આ હાર બાદ તુરંત જ ટ્રમ્પે પોતાની સત્તાનો ઉપયોગ કરી ભારત સહિતના દેશો પર પહેલા 10% અને ત્યારબાદ 24 કલાકમાં જ તેને વધારીને 15% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ બદલાયેલી પરિસ્થિતિમાં ટ્રેડ ડીલની શરતોનું પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી બન્યું છે.
ક્યારે થશે ટ્રેડ ડીલ ફાઈનલ?
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં જ સંકેત આપ્યા હતા કે, ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર માર્ચમાં હસ્તાક્ષર થઈ શકે છે અને એપ્રિલથી તેનો અમલ શરૂ થઈ શકે છે. 23 ફેબ્રુઆરીની આ બેઠક કરારના 'લીગલ ડ્રાફ્ટ' (કાનૂની દસ્તાવેજ) ને અંતિમ ઓપ આપવા માટે હતી. હવે જોવાનું એ રહેશે કે આ બેઠક ક્યારે યોજાય છે અને માર્ચના અંતિમ લક્ષ્યાંક પર તેની શું અસર પડે છે.


