Strait of Hormuz crisis: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલેલા યુદ્ધના કારણે અત્યારે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. આ બંને પક્ષો વચ્ચે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ બાદ હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી સંવેદનશીલ અને જોખમી દરિયાઈ માર્ગ બની ગયો છે. જો કે, 9 એપ્રિલના રોજ સીઝફાયર લાગુ થઈ ગયો હોવા છતાં આ માર્ગ પર જહાજોની અવરજવર હજુ પણ મોટાભાગે બંધ છે. ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો આ સાંકડો દરિયાઈ માર્ગ આખી દુનિયા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે વિશ્વનો અંદાજે 20% ઓઇલ અને નેચરલ ગેસનો પુરવઠો અહીંથી જ પસાર થાય છે. આ ભયાનક સંકટ વચ્ચે, ભારત પોતાના જહાજોને સુરક્ષિત બહાર લાવવા માટે એક ખાસ 'સીક્રેટ' વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે.
હોર્મુઝ ક્ષેત્રમાં હજુ પણ ભારતના 13 જહાજો ફસાયેલા છે
શિપિંગ ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ભારતના 13 જહાજો ફસાયેલા છે. ભારત સરકાર આ તમામ જહાજોને કોઈપણ નુકસાન વગર ત્યાંથી સુરક્ષિત બહાર લાવવા માટે પૂરેપૂરું જોર લગાવી રહી છે. આ ફસાયેલા જહાજોમાં 1 LPG ટેન્કર, 5 ક્રૂડ ઓઇલના ટેન્કર, 1 કેમિકલ ટેન્કર, 3 કન્ટેનર જહાજ, 2 બલ્ક કેરિયર અને 1 ડ્રેજરનો સમાવેશ થાય છે.
શું છે ભારત સરકારનો 'સીક્રેટ પ્લાન'?
જ્યારે મંત્રાલયના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ભારત સરકાર આ મામલે ઈરાન સાથે કેવી રીતે તાલમેલ મિલાવી રહી છે, ત્યારે તેમણે સુરક્ષાના કારણોસર આખી પ્રક્રિયા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ભારત એક ગુપ્ત યોજના અંતર્ગત પોતાના જહાજોને બહાર કાઢી રહ્યું છે. આ સમગ્ર ઓપરેશન વિદેશ મંત્રાલય (MEA) દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યું છે.
આ સફળ વ્યૂહનીતિની અસર પણ હવે દેખાવા લાગી છે. તાજેતરના અહેવાલો મુજબ, 25-26 મેની રાત્રે આશરે 2,70,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલું 'નિસોસ કેરોસ' નામનું ભારતીય ટેન્કર સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયું છે અને તે 3 જૂન, 2026 સુધીમાં વિશાખાપટ્ટનમ પહોંચશે. વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે અત્યાર સુધીમાં 14 ભારતીય જહાજો હોર્મુઝ સુરક્ષિત રીતે પાર કરીને ભારત પહોંચી ચૂક્યા છે, જ્યારે 11 જહાજો હજુ પણ પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી) વિસ્તારમાં છે.
આ પણ વાંચો: અમેરિકાના વર્જિનિયામાં હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનને અડફેટે લીધા, 5ના મોત, 34 ઈજાગ્રસ્ત
પબ્લિક શિપ ટ્રેકિંગ ડેટા અંગે સરકારની સ્પષ્ટતા
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પબ્લિક શિપ ટ્રેકિંગ ડેટાથી જહાજોની સુરક્ષાને જોખમ હોવાના સવાલ પર અધિકારીએ જણાવ્યું હતું કે, આ તમામ કોમર્શિયલ એપ્સ છે જેનું સબ્સ્ક્રિપ્શન કોઈ પણ લઈ શકે છે. આ ડેટાનો ઉપયોગ કેવી રીતે થશે તે સામેવાળા વ્યક્તિની દાનત પર નિર્ભર કરે છે. જો કે, અત્યારના સમયમાં આ ડેટા ભારત સરકારને પોતાના જહાજો ટ્રેક કરવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.
ભારે જોખમ વચ્ચે પણ ભારતનો દરિયાઈ વેપાર અવિરત ચાલુ
28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરીને આ રૂટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. ભૌગોલિક સ્થિતિના કારણે હોર્મુઝ પર ઈરાનનો ઘણો દબદબો છે. આ ડરના કારણે દુનિયાની ઘણી મોટી શિપિંગ કંપનીઓએ આ રસ્તો સંપૂર્ણ બંધ કરી દીધો છે. આમ છતાં, ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ જોખમી માર્ગે વેપાર ચાલુ રાખ્યો છે. અત્યાર સુધી ભારે તણાવ વચ્ચે પણ 'શિવાલિક', 'નંદા દેવી', 'જગ લાડકી', 'પાઇન ગેસ', 'જગ વસંત', 'બીડબલ્યુ ટાયર', 'બીડબલ્યુ એલ્મ' અને 'ગ્રીન સાન્વી' જેવા ભારતીય જહાજોએ આ ખતરનાક દરિયાઈ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો છે.


