Get The App

ઈરાનના નવા ફરમાને ટેન્શન વધાર્યું, હોર્મુઝમાંથી પસાર થવા જહાજોએ 48 કલાક પહેલા મંજૂરી લેવી પડશે

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
Hormuz Strait reopening 2026

Hormuz Strait Reopens: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, આ જળમાર્ગ ખુલ્લો કરવાની સાથે જ ઈરાન સરકારે અહીંથી પસાર થતા જહાજો માટે કડક અને નવા નિયમોની જાહેરાત કરી દીધી છે.

હવેથી કોઈપણ જહાજ ઈરાનની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર હોર્મુઝમાંથી આગળ વધી શકશે નહીં. નવા નિયમો અનુસાર, જહાજોએ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં ઓનલાઇન અથવા સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, પસાર થતી વખતે સમગ્ર સફર દરમિયાન જહાજના કેપ્ટને સતત ત્યાંના દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે.

ઈરાનની નવી બનેલી સંસ્થા 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઑથોરિટી'(PGSA) દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન મુજબ, દરેક જહાજના ઓપરેટરે પોતાની મુસાફરીની પૂરેપૂરી વિગતો, નક્કી કરેલો રૂટ અને કોન્ટેક્ટ ડિટેલ્સ અગાઉથી જ જમા કરાવવાની રહેશે. આ સાથે, જ્યાં સુધી સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી જહાજના ઓપરેટરે ઈરાની ઑથોરિટી સમક્ષ સતત સંપર્કમાં રહેવું પડશે.

48 કલાક પહેલાં પરવાનગી અને રૂટની માહિતી આપવી ફરજિયાત

નવા નિયમો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરવા માંગતા તમામ જહાજો માટે 48 કલાક પહેલાં ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ(પસાર થવા માટેની અરજી) દાખલ કરવી અનિવાર્ય કરાઈ છે, જેમાં જહાજનો રૂટ, ટ્રાવેલ પ્લાન અને કોમ્યુનિકેશન વિગતો આપવાની રહેશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે દરિયામાં રહેલા સંવેદનશીલ અને સંભવિત માઇન્સ(દરિયાઈ સુરંગ)વાળા વિસ્તારોના કારણે જહાજોએ હોર્મુઝ પહોંચતા પહેલાં પોતાનો રૂટ અને સમય શેર કરવો પડશે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને જહાજોની સુરક્ષા જળવાઈ રહે. PGSAએ ચીમકી પણ આપી છે કે જો કોઈ જહાજ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જહાજના માલિકની રહેશે. અલબત્ત, નિયમોનું પાલન કરનારા જહાજોને ઝડપથી મંજૂરી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.

વેપારીઓને મોટી રાહત: 60 દિવસ સુધી કોઈ ફી નહીં લેવાય

નવા કડક નિયમોની વચ્ચે ઈરાન સરકારે વૈશ્વિક દરિયાઈ વેપારને વેગ આપવા માટે એક મોટી રાહતની જાહેરાત પણ કરી છે. કરારના શરૂઆતના 60 દિવસના સમયગાળા સુધી હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ, સેફ્ટી સર્વિસ કે વીમાને લગતો કોઈ પણ ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલવામાં નહીં આવે. દરિયાઈ વેપાર ફરીથી સામાન્ય ગતિએ શરૂ થઈ શકે તે માટે આ તમામ સેવાઓનો ખર્ચ ખુદ ઈરાન સરકાર ભોગવશે.

આ પણ વાંચો: 'કોરોના વાઈરસ માટે અમેરિકાના વિજ્ઞાનીએ ફન્ડિંગ કર્યું હતું...', તુલસી ગબાર્ડના આરોપથી હડકંપ

દરિયાઈ વેપાર ફરી પાટા પર: જહાજોની સંખ્યામાં મોટો ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચેના આ કરાર બાદ હોર્મુઝમાં જહાજોની અવરજવરમાં ભારે વધારો નોંધાયો છે. દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી કંપનીના અહેવાલ મુજબ, ગુરુવારે એક જ દિવસમાં 25 કોમર્શિયલ (વેપારી) જહાજો આ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા, જે એપ્રિલ મહિનાના મધ્ય પછીનો એક દિવસનો સૌથી મોટો આંકડો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆતથી ચાલી રહેલા યુદ્ધના કારણે આ માર્ગ પરથી રોજના સરેરાશ માત્ર સાત જહાજો જ પસાર થઈ શકતા હતા, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કારોબાર ફરી એકવાર ઝડપથી ખૂલી રહ્યો છે.