Get The App

હિન્દુ ઉમેદવાર જ્ઞાનેશ્વરચંદ્ર રોયે ઢાકા-૩ મતવિસ્તારમાં જમાતના ઉમેદવારને પરાજિત કર્યા

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
હિન્દુ ઉમેદવાર જ્ઞાનેશ્વરચંદ્ર રોયે ઢાકા-૩ મતવિસ્તારમાં જમાતના ઉમેદવારને પરાજિત કર્યા 1 - image

- બાંગ્લાદેશ બીએનપી નીચે પરિવર્તન તરફ

- BNP નેતા જ્ઞાનેશ્વરને 98,785 મત મળ્યા જ્યારે જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર મહમ્મદ શાહીન-ઉર-ઈસ્લામને 82,232 મત મળી શક્યા

ઢાકા : બાંગ્લાદેશના અગ્રીમ નેતા તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશમાં સરકાર રચવા તૈયારીઓ કરી રહી છે, ત્યારે ઢાકા-૩ વિસ્તારની સંસદીય બેઠક ઉપર તારિકની પાર્ટીના ઉમેદવાર જ્ઞાનેશ્વર ચંદ્રરોય ૯૮,૭૮૫ મત મેળવી વિજય થયા છે, તેઓના પ્રતિસ્પર્ધી અને જમાત-એ-ઇસ્લામીના ઉમેદવાર મહમ્મદ શાહીન-ઉર-ઈસ્લામને ૮૨,૨૩૨ મત મળ્યા છે. રોયનો વિજય હવે બાંગ્લાદેશમાં પ્રસરી રહેલા કોમી એખલાસનું નિરૂપણ કરે છે.

નવે. ૧ ૧૯૫૧ના દિને ઢાકાના કેરાનીગંજ વિસ્તારમાં ગનાનંદચંદ્ર રોય અને સુમોતિ રોયને ત્યાં જ્ઞાનેન્દ્રનો જન્મ થયો હતો. ૧૯૯૦ના દશકમાં જ્યારે ત્યાં બી.એન.પી. સરકાર હતી ત્યારે તેઓ પર્યાવરણ અને વનવિભાગ તથા મત્સ્ય ઉદ્યોગના રાજ્યકક્ષાના પ્રધાનપદે હતા. તેમનો પુત્ર અભિનવ રોયના લગ્ન અન્ય બીએનપી નેતા નીતાય રાય ચૌધરીના પુત્રી નિપુણિકા રોય ચૌધરી સાથે થયા છે.

બાંગ્લાદેશનાં અંતિમ ચૂંટણી પરિણામો જાહેર થાય તે પૂર્વે જ નિશ્ચિત થઈ ગયું હતું કે હવે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) જ સરકાર રચશે અને તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બનશે. મોહમ્મદ યુનુસનાં માર્ગદર્શન નીચે ચાલતી વર્તમાન વચગાળાની સરકાર હવે વિલીન થવાની છે તે નિશ્ચિત છે.

બાંગ્લાદેશમાં ૧૨,૭૦ લાખ મતદારો છે. તે પૈકી ૧૮થી ૩૭ વર્ષના મતદારોની સંખ્યા અર્ધોઅર્ધ છે. ૪૫ લાખ ૭૦ હજાર યુવા મતદારોએ પહેલી જ વાર મતદાન કર્યું છે. દેશની ૩૦૦ બેઠકો પૈકી ૧માં ઉમેદવારનું નિધન થતાં ૨૯૯ બેઠકો ઉપર મતદાન થયું હતું.

આ ચૂંટણીમાં ૫૦થી ૫૯ પક્ષોએ ઝુંકાવ્યું હતું. બીએનપીએ ૨૯૧ ઉમેદવારો સ્પર્ધામાં મુક્યા હતા. શેખ હસીનાની આવામી લીગ પ્રતિબંધિત હોવાથી તે ચૂંટણીમાં ન હતી. પરંતુ એવું લાગે છે કે આવામી લીગના મતદારો બીએનપી તરફ વળ્યા હતા અને તેથી બીએનપીને જંગી બહુમતી પ્રાપ્ત થઈ હતી. હિન્દુ મતદારોએ બીએનપી તરફે મતદાન કર્યું હશે તે નિશ્ચિત રીતે દેખાય છે. ટૂંકમાં બાંગ્લાદેશ બીએનપી નીચે પરિવર્તન તરફ વળી રહેલુ દેખાય છે.