હોર્મુઝથી ગુડ ન્યૂઝ, યુરિયા-ડીએપીથી ભરચક 15 જેટલાં જહાજો ભારત આવવા રવાના થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા 15 ભારતીય જહાજો સૌથી સંવેદનશીલ ગણાતી 'હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી ગંભીર અસરો વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, દેશમાં ખાતર અને તેનો કાચો માલ લઈને આવી રહેલા 15 દરિયાઈ જહાજો અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને કારણે દેશમાં ખેડૂતો માટે ખાતરની અછતનો મોટો ખતરો ટળી ગયો છે.
કયા જહાજમાં કેટલો જથ્થો?
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂકેલા આ 15 જહાજોમાં ભારતીય ખેતી માટે અત્યંત જરૂરી એવા ખાતરનો મોટો જથ્થો છે.
યુરિયા: 8 જહાજોમાં 3.32 લાખ મીટ્રિક ટન (LMT) યુરિયા છે.
ડીએપી (DAP): 4 જહાજોમાં 2.57 LMT ડાયએમોનિયમ ફોસ્ફેટ છે.
સલ્ફર: 3 જહાજોમાં 1.11 LMT સલ્ફર લોડ થયેલું છે.
આ ઉપરાંત, આગામી દિવસોમાં વધુ 5 જહાજો ખાતરનો જથ્થો લઈને ભારત આવવા માટે રવાના થવાના શિડ્યુલ હેઠળ છે.
વૈશ્વિક પડકારો વચ્ચે સરકાર એક્શન મોડમાં
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, "પશ્ચિમ એશિયાના સંઘર્ષે વૈશ્વિક સપ્લાય ચેઈનને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે અને શિપમેન્ટ પહોંચવાના સમયમાં પણ વિલંબ થઈ રહ્યો છે." તેમણે ઉમેર્યું કે, આ મુશ્કેલ સમયમાં વિદેશોમાં આવેલા ભારતીય મિશનો (દૂતાવાસો) એ ખાતર વિભાગને વૈશ્વિક ઉત્પાદકો અને સપ્લાયર્સ સાથે સીધો સંપર્ક સાધવામાં સક્રિય મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે.
નેચરલ ગેસનો સપ્લાય 100% પુનઃસ્થાપિત
સરકાર માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને 65% સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી 100% પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ વેગ પકડશે.
ભારત પાસે ખાતરનો બફર સ્ટોક ઉપલબ્ધ
ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલ 197.56 લાખ મીટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરી લેવામાં આવ્યો છે. આ સ્ટોક દેશની વાર્ષિક 383.9 LMT ખાતરની જરૂરિયાતના 51% કરતા પણ વધારે છે. આમ, આયાત અને સ્થાનિક ઉત્પાદનના સમન્વયથી આગામી સમયમાં દેશભરમાં ખાતરની કોઈ અછત સર્જાશે નહીં.









