World

નેપાળમાં અનરાધાર વર્ષાને પરિણામે તપલેજંગ જિલ્લામાં ભૂસ્ખલનથી દટાઈ જતાં ચારનાં મૃત્યુ

By GS Team
15 Jun 20242 mins read
This article was originally published on 15 Jun 2024
નેપાળમાં અનરાધાર વર્ષાને પરિણામે તપલેજંગ જિલ્લામાં ભૂસ્ખલનથી દટાઈ જતાં ચારનાં મૃત્યુ

- અનરાધાર વર્ષાથી સિક્કીમમાં પણ ઠેર ઠેર ભૂસ્ખલન અને ભારે વરસાદને લીધે પણ 6નાં મૃત્યુ : અનેક સહેલાણીઓ ફસાયા

ખટમંડુ, ગંગટોક : નેપાળ અને પૂર્વ ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વર્ષા ચાલી રહી છે. નેપાલમાં તો તોફાની વરસાદે માઝા મુકી છે. તેના પૂર્વના તપલે જંગ જિલ્લાનાં ફત્તનગ્લુંગ ગામ પાસે ભારે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછી ચાર વ્યક્તિઓ દટાઈ ગઈ હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. જ્યારે લગભગ સમગ્ર પૂર્વોત્તર ભારતમાં પણ ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. જે પૈકી, સિક્કીમમાં પ્રચંડ વર્ષાને લીધે થયેલાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછાં ૬નાં મૃત્યુ થયાં છે જ્યારે ૧,૫૦૦ જેટલા સહેલાણીઓ ભારે વર્ષાને લીધે ભૂસ્ખલનો થતાં એક તરફ માર્ગો બંધ રહ્યા છે જ્યારે તિરતામાં આવેલાં પૂરને લીધે નદી ઉપરનો પૂલ તૂટી જતાં ૧,૫૦૦ જેટલા સહેલાણીઓ ફસાઈ ગયા છે. ઉત્તર સિક્કીમના મંગન જિલ્લામાં તો વર્ષાએ તારાજી વેરી નાખી છે. તેમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.

સિક્કીમમાં મંગન જિલ્લાનાં અંગ ક્લાંગ પાસેનો બેઇલી બ્રીજ તૂટી પડયો છે. તે જિલ્લામાં આવેલાં ઝોંગુ, યુંગથાંગ, લાચેન અને લાચુંગ જેમાં પર્યટન સ્થળ માટેનાં ગામો તેમની ગુરૂડોંગમાર સરોવર અને યુંગથાંગ વેલી સાથે પણ સંપર્ક તૂટી ગયો છે.

આ ભારે વર્ષાને લીધે, પક્ષેપ ગામમાં ૩ અને અભિથંગ ગામમાં ૩નાં નિધન થયાં છે. તેમ મંગન જિલ્લાના કલેકટર હેમકુમાર છેત્રીએ જણાવ્યું હતું.

ઉત્તર સિક્કીમમાં અનેક સ્થળોએ ઝાડ પડી ગયાં હતાં. વીજળીના થાંભલા પણ પડી ગયા હતા. ત્યાં મોબાઈલ નેટવર્કને પણ ઘણી અસર થઇ છે.

સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અત્યારે અરૂણાચલ પ્રદેશની મુલાકાતે છે. તેઓ ભાજપના નેતા પ્રેમકુમાર ખાંડુના થપથ વિધિ સમારોહમાં ભાગ લેવા ત્યાં ગયા છે. તેઓએ ફોન દ્વારા વહીવટી અને પોલીસ અધિકારીઓને તુર્ત જ સહાય કામમાં લાગી જવાં કહ્યું છે. સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ પણ સક્રિય થઇ ગયું છે.