- વિસ્ફોટમાં અમારી કોઈ સંડોવણી નથી : ઇઝરાયેલ
- અમેરિકાને દુ:સાહસ કર્યુ તો ઇઝરાયેલ અને આખુ મધ્યપૂર્વ સળગશે : ઇરાનના લશ્કરી વડાની ચેતવણી
નવી દિલ્હી : અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ઇરાનમાં શનિવારે થયેલા બે જુદાં-જુદાં વિસ્ફોટમાં પાંચના મોત થયા અને ૧૪ને ઇજા પહોંચી હતી. સ્થાનિક અખબારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમે આવેલા શહેર અહવાજમાં ગેસ વિસ્ફોટમાં એક રહેણાક ઇમારત તૂટી જતા ચારના મોત થયા હતા. બીજો વિસ્ફોટ પોર્ટ સિટી અબ્બાસમાં થયો હતો. તેમા એકનું મોત થયું હતું અને ૧૪ ઇજા પામ્યા હતા.
ઇઝરાયેલે આ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી નકારતા જણાવ્યું હતું કે અમારો તેમા કોઈ હાથ નથી. ઇરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે હુમલાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
સરકારી ટીવી પર બતાવાયેલી તસ્વીરોમાં બિલ્ડિંગનો બહારનો હિસ્સો ઉડેલો બતાવાયો હતો, જેની અંદરના કેટલાક હિસ્સા દેખાતા હતા અને કાટમાળ ચારેય બાજુ ફેલાયેલો હતો. ઇરાનની અર્ધસરકારી એજન્સીએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ પર આવતા સમાચારોમાં વિસ્ફોટમાં રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યો હોવાનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે.
અમેરિકાના પેન્ટાગોને આ અંગે કોઈ ચેતવણી આપી નથી. ઇરાનના લશ્કરના વડા અમીર હાતામીએ ચેતવણી આપી હતી કે અમેરિકા જો કોઈ ભૂલ કરે છે તો ચોક્કસપણે તેની સુરક્ષા, ઇઝરાયેલની સલામતી અને આખા મધ્યપૂર્વની સલામતી જોખમાશે.
તેમણે જણાવ્યું હતું કે આજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના સશસ્ત્ર દળ સંપૂર્ણપણે સજ્જ છે અને આ વિસ્તારમાં દુશ્મનની પ્રવૃત્તિઓ પર તેમની ચાંપતી નજર છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બીજો પક્ષ સમાધાન માટે તૈયાર હોય તો તેણે ઇરાન સાથે સન્માનજનક વ્યવહાર કરવો જોઈએ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આક્રમક નિવેદનો પછી અમેરિકાએ આ ક્ષેત્રમાં તેનું વિમાનવાહક જહાજ અબ્રાહમ લિંકન મોકલ્યુ છે ત્યારે બંને દેશ વચ્ચે ભારે તંગદિલી વચ્ચે વિસ્ફોટની આ ઘટના બની છે.


