ચીનનો 'સાયલન્ટ' એટેક! યુદ્ધની આડમાં અનાજ-ખાતરની સંગ્રહખોરી, ભારત માટે ખતરાની ઘંટડી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

China Hoards Grain and Fertilizer Amid US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. તેલની કિંમતો આસમાને પહોંચી છે અને સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ કટોકટી વચ્ચે ચીન ગુપ્ત રીતે અનાજ, ખાદ્ય સામગ્રી અને ખાતરનો મોટો સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ બૅન્કના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક ઇન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર ઊભો કરી રહ્યું છે. તેમણે બેઇજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને શી જિનપિંગની સમિટ પહેલા ચીનને આ જમાખોરી તાત્કાલિક બંધ કરવા અપીલ કરી છે જેથી વૈશ્વિક પુરવઠા સંકટને ઘટાડી શકાય.
ભારત માટે ખતરાની ઘંટી: ખાતરના ભાવમાં બમણો વધારો
ચીનના આ પગલાથી ભારત જેવા કૃષિપ્રધાન દેશોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચીને માર્ચ મહિનાની શરૂઆતથી જ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ ભારત જે યુરિયા 512 ડૉલર પ્રતિ ટન ખરીદતું હતું, તેની કિંમત હવે વધીને 959 ડૉલર પ્રતિ ટન થઈ ગઈ છે. એટલે કે ભારત ખાતર માટે લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યું છે. જો ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચ વધશે અને તેના કારણે અંતે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે. ભારત પહેલેથી જ ઇરાન યુદ્ધના કારણે મોંઘા ક્રૂડ ઓઇલનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ખાતરની આ અછત ભારત પર નાણાકીય બોજ વધારી શકે છે.
શા માટે ચીન કરી રહ્યું છે જમાખોરી?
નિષ્ણાતોના મતે ચીનનું આ પગલું માત્ર સુરક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ એક મોટી વ્યુહરચના છે. ઈરાન યુદ્ધના કારણે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' બંધ છે, જેનાથી દરિયાઈ વેપાર ઠપ થયો છે. ચીનને ડર છે કે જો લાંબા સમય સુધી આ સ્થિતિ રહેશે તો તેના દેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજું કારણ એ છે કે અનાજ અને ખાતર પર નિયંત્રણ મેળવીને ચીન વૈશ્વિક રાજનીતિમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. જ્યારે દુનિયામાં આ વસ્તુઓની અછત સર્જાશે ત્યારે ચીન પોતાના ભંડારનો ઉપયોગ કરીને મોટો નફો કમાઈ શકે છે અને અન્ય દેશો પર દબાણ બનાવી શકે છે.
સપ્લાય ચેઇન ઠપ અને અનિશ્ચિત ભવિષ્ય
હાલમાં યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈરાન અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષની અસર ભારત સહિતના આયાત પર નિર્ભર દેશો પર સૌથી વધુ પડી રહી છે. ચીન દ્વારા લેવામાં આવેલા આ નિકાસબંધીના નિર્ણયને કારણે ઇંધણ અને ખાતરની સપ્લાય ખોરવાઈ ગઈ છે. આ સ્થિતિમાં હવે દુનિયાની નજર ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત પર ટકેલી છે કે શું ચીન જમાખોરી બંધ કરીને વૈશ્વિક બજારમાં રાહત આપશે કે નહીં.









